Nov 18 2024
બેઠક નં. ૨૬૨ઃ અહેવાલઃ રિદ્ધિબહેન દેસાઈ અને નરેન્દ્ર વેદ
નવેમ્બર ૧૦, ૨૦૨૪ની સાંજે ગુજરાતી સાહિત્ય સરિતાની ૨૬૨મી બેઠકની શરૂઆત, માયાબહેન અને કોકીલાબહેનના સ્વરે સરસ્વતી વંદનાથી થઈ. આ દિવાળી બેઠકના પાંચ સ્પૉન્સરોએ દીપ પ્રગટાવ્યા. ત્યારબાદ હાજર રહેલા બધા સભ્યોએ પ્રમુખ નિખિલભાઈના સુંદર સ્વરની દોરવણી હેઠળ શ્રી નારાયણ સુક્તમનું સમૂહ પારાયણ કર્યું. આશરે ૭૦ સાહિત્ય–રસિક સભ્યો તથા મહેમાનો હાજર હતા.
પહેલેથી નક્કી કર્યા પ્રમાણે બધાં દિવાળીનાં પ્રાસંગિક નાસ્તા, મીઠાઈ વગેરે લાવ્યાં હતાં. તે બધાંએ આનંદ સાથે માણ્યાં. આનું co-ordination અવનીબહેન મહેતાએ કર્યું હતું.
બેઠકનું સંચાલન સંસ્થાના સચિવ નરેંદ્ર વેદે સંભાળ્યું. બેઠકના નિર્ધારિત વિષયો હતા “અસતો મા સદ્ગમય ” અથવા “તમારી પ્રિય કૃતિ“.
સૌ પ્રથમ વડીલ વક્તા સીતાબહેન કાપડીઆએ “કાયેન વાચા મનસેન્દ્રિયૈર્વા…” શ્લોકની ટૂંકમાં સરળ સમજણ આપી અને તેના સમન્વયના મહત્ત્વ વિષે જણાવ્યું.
ત્યારબાદ સંસ્થાના સ્થાપક વડીલ દીપકભાઈ ભટ્ટે “અસતો મા સદ્ગમય“ની ગહન છણાવટ કરી. આ પંક્તિનો ઉદભવ, ચાર વેદ, તેના ભાગ–સંવિભાગ અને તેના કાંડ વિષે માહિતી આપી. આદિ શંકરાચાર્યથી માંડી સમકાલીન સચ્ચિદાનંદે પણ આના પર પોતાના ભાષ્યો તથા પ્રવચનોથી સહુને સમજણ આપી છે એ જણાવ્યું. અંતે કવિ ન્હાનાલાલની શિખરિણી છંદમાં રચિત “અસત્યો માંહેથી પ્રભુ પરમ સત્યે તું લઈ જા..”ના પઠનથી તેમનું વકતવ્ય પૂરું કર્યું.
ત્યારબાદ ઉપપ્રમુખ રિદ્ધિબેન દેસાઈએ “અસતો મા સદ્ગમય“ની હળવી રીતે રજૂઆત કરી વર્તમાનના social media માં સત્ય–અસત્ય વચ્ચેની ભેદરેખા ઝાંખી થતી જવાની વાસ્તવિક્તા તરફ સહુને સચેત કર્યા.
પછી સંસ્થાના સલાહકાર અને patron હસમુખભાઈ દોશીએ જણાવ્યું કે દિવાળીના દિવસે જૈન તીર્થંકર મહાવીર સ્વામી નિર્વાણ પામ્યા અને તેઓ મોક્ષે પધાર્યા. ત્યારથી જૈન વીરસંવતની શરૂઆત થઈ. જૈન નવકાર મંત્ર સાથે તેમણે વાત સમાપ્ત કરી.
અરવિંદભાઈ ઠેકડીએ, દિવાળીના દિવસે ગુરુ હરગોવિંદસિંહે કેવી રીતે બાવન શીખ કેદીઓને જહાંગીરની કેદમાંથી છોડાવ્યા અને તેને કારણે શીખ સમાજ, દિવાળીને “બંદિછોડ દિન” તરીકે ઉજવે છે એની રસપ્રદ માહિતી આપી.
પછી જનાર્દનભાઈ શાસ્ત્રીએ એક રચના સંભળાવી. જેમ દરજી તેના સંચામાં ખૂબ જતનથી તેલ પૂરે છે જેથી સંચાને તેલ મળે પણ કપડાં પર એક પણ ડાઘ ન પડે તેમ આપણે પણ આપણું જીવન જીવવાનું છે એમ જણાવ્યું.
ત્યારબાદ મીતાબેન ભટ્ટે જુદી જુદી વયે હૃદયમાં થતી ઊર્મિઓ અને અનુભૂતિની વાત કરી. શ્રી ભોગીલાલ ગાંધીએ ‘ઉપવાસી‘ના આતમદીપ ભજનનું પઠન કરી ખૂબ સુંદર ભજનની યાદ કરાવી દીધી.
આ બેઠકના sponsors હતા – જનાર્દનભાઈ અને ઉષાબહેન શાસ્ત્રી, બિપિનભાઈ અને ઉર્વશીબહેન પંડ્યા, ભરતભાઈ અને ભારતીબહેન શુક્લ, ભુપેન્દ્રભાઈ અને રીમાબહેન શેઠ તથા હસમુખભાઈ દોશી.
પછી રિદ્ધિબહેને બેઠકનાં બધાં વક્તવ્યોની સુંદર summary રજૂઆત કરી બેઠકના sponsors નો આભાર માન્યો તથા જેઓ વાનગીઓ લાવ્યા હતા તે સર્વેનો, Sound system માટે અશોકભાઈ ભાવસારનો, હરહંમેશ બેઠકોની photography માટે જયંતભાઈ પટેલનો અને અવનીબહેન કે જેમણે રંગોળી તથા દીવા અને અન્ય જરૂરી તૈયારી કરી હતી તેમનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો.
અંતે બધાં ભાઈ–બહેનો શ્રીખંડપુરી અને ખાંડવીનું સ્વાદિષ્ટ ભોજન માણી છૂટાં પડ્યાં.
સંકલન – રિદ્ધિબહેન દેસાઈ અને નરેંદ્ર વેદ
સંપાદનઃ દેવિકા ધ્રુવ