ગુજરાતી સાહિત્ય સરિતાની જૂન મહીના ની બેઠક તા. ૨૨ જૂન ૨૦૦૮, રવિવારે શ્રી મુકુંદ ગાંધીને ત્યાં બપોરે ૨ વાગે આયોજાઈ. આ બેઠક્નો વિષય હતો “મારા પિતાજી” જે ફાધર ડે ને અનુલક્ષીને હતો. ધારણા હતીકે માતા ઉપર ઘણુ લખાણ છે પણ પિતા ઉપર ઓછુ લખાણ્ હોય છે તેથી આ વિષય થોડો અઘરો થશે પણ તેવુ ન બન્યુ અને ઘણા લખાણો વંચાયા કેલીફોર્નીયાનાં ડો ચંદ્રવદન મિસ્ત્રી થી માંડીને લાભશંકર ઠાકરનાં પુસ્તક “બાપા વિષે” સુધી ની મજલ ફાધર ડે ને જીવંત કરી ગઈ. પ્રવિણાબેન કડકીયા, દેવિકાબેન ધ્રુવ્, હિંમત શાહ, નુરુદ્દિન દરેડિયા, રમઝાન વિરાણી, સતીષ પરીખ, વિજય શાહ અને વર્ષા શાહે પોતાની પિતાજી વિશે કવિતા કહી, ફતેહઅલી ચતુરે વ્યંગાત્મક રીત આજની પેઢીની વાતો તેમની આગવી છ્ટામાં કહી.
આ બેઠક્નું વિશિષ્ટ પાસુ એ હતું કે ગુજરાતી સાહિત્ય સરિતાએ પહેલી વાર સ્વાયત્તતાનો હેતૂ પુર્ણ કર્યો.. સાત વર્ષ પહેલા આ પરિકલ્પના હતી કે સાહિત્ય સરિતા સંપૂર્ણ સ્વાયત્ત બને એટલે કે એવો પ્રોગ્રામ કરે કે જેમાં સંગીત નાટ્ય અને લેખન ત્રણેય કળાઓને વરેલા સભ્યો સર્વે સર્વા હોય્. આવો એક કાર્યક્રમ આજે યોજાયો. સભ્ય વિજય શાહની વેબ પત્રશ્રેણી “પૂ. મૉટાભાઈ” નાટ્ય સ્વરુપે ભજવાઈ તેનું નાટ્ય રુપાંતર અને ભજવનાર હતા શ્રી મુકુંદ ગાંધી, રસેશ દલાલ અને વર્ષા શાહ અને પાર્શ્વ સંગીત આપ્યુ હતુ શ્રી મનોજ મહેતાએ.
“પૂ. મોટાભાઈ” વેબ પત્ર શ્રેણી માતૃભૂમિ છોડીને પરદેશમાં ઠરીઠામ થયેલા આપણા સૌની કહાણી છે. માતાપિતા કુટુંબની છત્ર છાયા છોડીને આપણે આવ્યા. આજે તેઓ ની વૃધ્ધાવસ્થામાં તેઓ દિકરાઓની હૂંફ ઇચ્છે છે ત્યારે દિકરાઓ તેમના સંતાનો ને પણ તેટલીજ આર્તતા થી ચાહે છ તેથી તેઓ ત્યાં જઈ ને રહી નથી શકતા. બે સંસ્કૃતિ, બે પેઢીઓ વચ્ચેનો આ પ્રવાસ, સહવાસ અને સુંદરતાની સાથે જે ખાલીપો બંને પેઢીનાં માબાપો ભોગવે છે તેની શું ફલશ્રુતિ હોઈ શકે તેની વાતો થી આ નાટ્ય પ્રયોગ તેની ભજવણી દરમ્યાન દરેક નાટ્ય વણાંકો પ્રમાણે સભાગૃહનાં સભ્યો ને તન્મય અને એકરુપ કરી શક્યું હતું સૌ શ્રોતા નાટકનાં દરેકે દરેક પત્રોને વધાવતા જતા હતા. દર્દનાં પ્રસંગે અશ્રુધારા પણ જોવા મળતી હતી. શ્રી મુકુંદ અને મંજુબેન ગાંધીનાં ઘરમાં આયોજીત રંગમંચમાં ભારત અને અમેરીકાનાં ધ્વજ જે તે દેશ અને વેશ દર્શાવતા હતા. સવા કલાકનાં આ નાટક દરમ્યાન સભાગૃહનું રંગમંચ પર ભજવાતા નાટક પ્રત્યે માન ઉંચું હતું તે પત્ર પતે અને પડતી તાળીઓનાં ગુંજારવ થી સિધ્ધ થતુ હતુ.
આભાર વીધી કરતી વખતે વિજય શાહે જણાવ્યુ હતું કે આ પ્રયોગ ગુજરાતી સાહિત્ય સરિતાનાં સભ્યોની હુંફ અને માર્ગદર્શન વગર શક્ય ન બન્યુ હોત. આ આખી વાર્તા અને તેનો નાટ્ય પ્રયોગને ગુજરાતી સહિત્ય સરિતાની વેબ સાઈટ http://gujaratisahityasarita.org ઉપર જોવા મળશે.
for the News coverage by Gujarat Time Please click here 11_07_2008_007.pdf
17મી મેની શનિવાર…બપોરના બરાબર બે વાગ્યેહ્યુસ્ટનની સાહિત્ય સરીતાના ઉપક્રમે યોજવામાં આવેલ બેઠકમાં, ભારતથી આવેલ પ્રો. સુમન શાહને આમંત્રિત કરવામાં આવ્યાં હતા.દર મહિને નિયમિત રીતે મળતી આ બેઠક, આ વખતે ભાઇ શ્રી અક્બરઅલી અને અમીનાબેન નરસીના નિવાસસ્થાને ગોઠવવામાંઆવી હતી.પ્રારંભમાં શ્રી રસિક મેઘાણીએ કાર્યક્રમની રૂપરેખાનો આછો ખ્યાલ આપ્યો હતો.તે પછી સર્યૂબેન પરીખની પ્રાર્થનાથી શરૂઆત કરવામાં આવી. ત્યારબાદ હ્યુસ્ટનના સ્થાનિક લેખક અને કવિ પ્રો. સુમન અજ્મેરીએ , ‘બે સુમન’ ની શબ્દરમત કરતા કરતા, શ્રોતાજનોને પ્રો.સુમન શાહનો વિશેષ પરિચય આપ્યો.. (more…)
ગુજરાતી સાહિત્ય સરિતા દ્વારા ગુજરાતી ભાષાને સતત જીવંત રાખવાના પ્રયાસ રૂપે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાતુ હોય છે. તેના જ એક ભાગરૂપે ગુજરાતી ગઝલની અંતાક્ષરીનો કાર્યક્રમ ૧લી માર્ચ ૨૦૦૮ ના રોજ યોજાયો હતો જેનો સંપુર્ણ વિડિયો નીચે અહીં ઊપલબ્ધ છે.
આ શેર અંતાક્ષરીનાં સર્જક પ્રો. સુમન અજમેરીનો પણ મુદ્રણ પરવાનગીઆપવા બદલ આભાર
આ શેર અંતાક્ષરી ટાઈપ કરી અત્રે રજુ કરવા બદલ દેવીકાબેન ધ્રુવ નો આભાર.
માર્ચની પહેલી તારીખે યોજાયેલી ગુજરાતી સાહિત્યસરિતાની ૭૨ મી બેઠક નુ આયોજન શાંગ્રિલા આર્ટ ગેલેરીમાં રાખવામાં આવ્યું હતું. ત્યાં ત્રણ પ્રસંગોમાં બે લલિત કળાઓનો અદભુત સંગમ યોજાયો હતો. ભારતમાં જન્મેલા અને અમેરિકામાં વસેલા ચિત્રકારોના ચિત્રોનુ પ્રદર્શન ( કે જેમા આપણા ચિત્રકાર મિત્ર અને સભ્ય વિનોદ પટેલનાં પણ ચિત્રો રજુ થયા હતા) અને હ્યુસ્ટન ની ગુજરાતી સાહિત્ય સરિતાની બેઠક અને કવિઓની કવિતાનો રસાસ્વદ સાથે શેર અન્તાક્ષરી ભાગ-૨ માં ૫૭ જેટલા જાણીતા અને માનવંતા ગઝલકારોનાં શેરોની રમઝટ.
રંગબેરંગી રંગોના સાનિધ્યમા પ્રશાન્તભાઈએ સભાની શરુઆત સહુ મહેમાનો ને આવકારી ને કરી, અને પ્રકાશભાઈ મજમુદારને પ્રાર્થના માટે આવકાર્યા. પ્રકાશભાઈએ કવિ નાનાલાલ ની પ્રાર્થના “અસત્યો માંહેથી પ્રભુ પરમ સત્યે તું લઈ જા” ભાવવાહી સ્વરે ગાઈને સભાનુ મંગળાચરણ કર્યું. સર્વ વક્તા અને શ્રોતાઓએ પણ સુર પુરાવ્યો.
ત્યારબાદ પ્રશાન્તભાઈએ દેવિકાબેનને આવકારી સભાનુ સંચાલન પદ ગ્રહણ કરવા વિનંતી કરી.
દેવિકાબેને કવિઓના નામ ની ચિઠ્ઠી બનાવી હતી અને જે પ્રમાણે નામ નીકળે એ પ્રમાણે કવિ પોતાની કૃતિ રજુ કરે એ પ્રથા રાખી હતી.બેઠક્નો વિષય હતો “નજર”
સૌ પ્રથમહેમંતભાઈ ગજરાવાલા નો વારો આવ્યો. એમણે યુવાવસ્થાથી એમના જીવનમા મહત્વનો ભાગ ભજવનાર વ્યક્તિ ની નજર . “તારી નજરે યુવા મનને સપના દર્શાવ્યા થી માંડી ને ત્રીજા નેત્ર સુધીની વાત સરસ રીતે કાવ્યમા વણી લીધી. દેવિકાબેને સરસ પંક્તિઓ એ માટે રજુ કરી “મળી મળી ને પડી વિખુટી નજર તમારી મળી શકીના.” આગળ ધપતા દેવિકાબેને મનોજભાઈને કૃતિ રજુ કરવા આમંત્ર્યા. મનોજભાઈએ નજરને કર્તાનુ રુપ આપી લગતા વિશેષણોની વાત કરી.”નજર સારી, નજર ખરાબ, વગેરે ગઝલ રજુ કરી.
“નજર નજર મા ફરક પડે છે,
શોલા મળે ક બરફ મળે છે.”
દેવિકાબેને ગઝલને બિરદાવતા નજરના જુદાજુદા નજારાની વાત કરી. અને ડો વિવેક ટેલર ની કવિતા “ફાંસ”ની એક નજર “ભર બપોરે ભર મેળામા નજરુની વાગી ગઈ ફાંસ.” રજુ કરી ત્યારબાદ પ્રશાન્તભાઈનુ નામ નીકળતા એમણે આપણા બહુ જાણીતા કવિ કરસનદાસ માણેકનુ ખુબ જ જાણીતું કાવ્ય “તે દિન આંસુભીના રે હરિના લોચનિયા મે દીઠા” સંભળાવ્યુ સાથે દુનિયાની વિષમતા ની વાત કરી. આ પછી વિજયભાઈએ એમના ત્રીસ વર્ષના લગ્નજીવન પર લખાયેલું એમનુ કાવ્ય “પેલી સારસ બેલડી સરકે સંગસંગ” સુંદર રીતે રજુ કર્યુ. આ પછી ફતેહઅલીભાઈએ” જીંદગી” પર નાનકડું કાવ્ય
રજુ કરી. પ્રકાશભાઈએ શુન્યપાલનપુરી ની ગઝલ “નજર મેળવીશું ને ખોવાઈ જાશુ” ભાવવાહી સ્વરે સહુને સંભળાવી. એનો પ્રત્યુત્તર આપતા દેવિકાબેને નજરુ મેળવવાની વાત પર ” નયનમાં જો કોઈની નજર ના હોત” ની વાત કરી મુરબ્બી ધીરુભાઈ શાહે ગાંધી નિર્વાણ દિન અને યુધ્ધના સૈનિકો પર પોતાની રચના રજુ કરી. સુમનભાઈ અજમેરીએ “પનિહારી” પર નુ ગીત રજુ કરી ગ્રામ્ય જીવનનુ દર્શન કરાવ્યુ અને “જવાની જ્વાળ થઈ જાશે” ગઝલ રજુ કરી. ત્યારબાદ આપણા સહુના જાણીતા વિશાલ મોણપરાએ “તને જોઈ જોઈ તો પણ તુ અજાણી” કાવ્ય ની પંક્તિઓ રજુ કરી.ચીમનભાઈએ
“કરે કથામા વાતો લોકો કારણો વગર
અને બગાડે સમય પોતાનો કારણો વગર”
સંભળાવી સહુને હાસ્ય તરબોળ કર્યા.
જ્યારે રસિક મેઘાણીએનાના બે શેર અને એક ગઝલ ગાઈને રજુ કરી.
“પલક પલક પાંખડી ના ગુલાબ જેવા નયન તમારા,
છે કાળી કાળી લટોની સાથે વદન ની શોભા નયન તમારા.”
દેવિકાબેને શબ્દારંભે અક્ષર એક” નો નવતર પ્રયોગ રજુ કર્યો અને “ન” અક્ષર પરથી શબ્દ શરુ થાય એમ આખુ કાવ્ય રચ્યું.
“નીલમ નામે નાર નવેલી,
નાજુક નમણી નખશિખ નિરાળી”
નમણાશ થી રજુ કર્યુ. શૈલાબેને “દ્રષ્ટિ” કાવ્ય જે હળવાશ થી શરુ થઈને દ્રષ્ટિ ની ગહનતા પર સહુને લઈ ગયુ એ રજુ કર્યું. છેવટે અશોકભાઈ પટેલે નાના બે મુક્તક રજુ કર્યા.
આ રીતે દેવિકાબેને સભાના કાવ્યમય પ્રથમ દોરની સમયસર પુર્ણાહુતી કરી વિજયભાઈને શેર અન્તાક્ષરી ની બાગડોર સોંપી.આ અન્તાક્ષરીના એક પક્ષમાં દેવિકાબેન્ ધ્રુવ , શૈલાબેન્ મુન્શા રસિક્ભાઈ મેઘાણી અને ચિમનભાઈ પટેલ અને બીજા પક્ષમાં મનોજભાઈ મહેતા, અશોક્ભાઈ પટેલ્, સુરેશભાઈ બક્ષી તથા ગીતાબેન ભટ્ટૅ ભાગ લીધો હતો.
આપ સર્વેને જણાવતા અમને આનાંદ થાય છે કે આ કાર્યક્રમ VIDEO માં અહીં ગુજરાતી સાહિત્ય સરિતાની વેબસાઈટ પર મુકાયો છે. જેનો જીવંત અનુભવ આપ સૌ માણી શકશો.
શ્રી વિનોદ પટેલ ના સુચનથી હાજર રહેલા તમામ કવિ મિત્રોએ ત્યાં દિવાલો પર મુકાયેલ ચિત્રો પર પોતાની બે થી ચાર પંકતિના શીઘ્ર મુક્તકો રજુ કર્યાં જેનો વિગતવાર અહેવાલ આપ અહીં માણો. આ વિષયે ગુજરાત ટાઈમ્સે લીધેલી નોંધ જુઓ
ફત્તેહ અલીભાઈએ સૌનો અભાર માનીને સભાની પુર્ણાહુતી કરી.
ગુજરાતી સાહિત્ય સરિતાની ફેબ્રુઆરી બેઠકનુ આયોજન ચીમનભાઈ ને ત્યાં યોજાયું હતું. ચીમનભાઈએ સભાનુ સંચાલન પણ સંભાળ્યુ હતું ચીમનભાઈ અને નિયંતિકા બેનનો બે બાબત માટે ખાસ આભાર માનવાનો. એક તો બેઠક નુ આયોજન એમના ઘરે રાખવા બદલ, અને બીજું ગુજરાતી સાહિત્ય સરિતાની વેબસાઈટનુ પાંચ વર્ષનુ લવાજમ જે ૯૫ ડોલર થાય છે તે સ્વેચ્છા એ એમણે પોતે આપવાનુ જાહેર કર્યું એ બદલ સર્વ સભ્યો વતી ખુબ આભાર.
બેઠક ની શરુઆત રસિકભાઈ મેઘાણી થી થઈ. તાજેતરમા એમની દિકરીના લગ્ન પ્રસંગે રચાયેલું કાવ્ય “સુના બધા પડી ગયા તારા ગયા પછી” બધાની આંખ ભિજવી ગયું. બીજી ગઝલ હજી પણ તમારી યાદને તરસે ઘણી સરસ રહી. પ્રકાશભાઈએ ત્રણ અવસ્થા ના પ્રેમ નુ ગીત સુંદર રીતે ગાઈને રજું કર્યું. વિશ્વદિપભાઈએ “velentine’s Day નિમિત્તે “I will be there” કાવ્ય રેખા એમની (સહચારિણી)ને સમર્પિત કર્યું. વિજયભાઈએ હનિફ સાહિલ ની રચના પ્રણય અને આધ્યાત્મ પર અને “કબુલ મને” બે કાવ્યો રજુ કર્યા. પ્રવિણાબેને પ્રેમ વિશે સુંદર લેખ રજુ કર્યો અને પ્રેમ ને ઉપમા પ્રભુની કે પ્રેયસીની વિશે વાત કરી. શૈલાબેને પ્રેમ કાંઈ ત્રાજવે તોળાતો નથી એ તો બસ થઈ જાય છે નુ કાવ્ય રજુ કર્યું. સુમનભાઈ અજમેરી એ “આંધિ થઈને વાત ઊડી” ના કાવ્ય દ્વારા ગ્રામ્ય જીવન નુ દર્શન કરાવ્યું અને પાંચ નાગલી નુ કાવ્ય રજુ કર્યુ. દેવિકાબેને પ્રેમ અને પ્રક્રુતિ નિ વાત કરી. ચીમનભાઈએ હાસ્ય ગઝલ “આ ઊમ્મરે પ્રેમમા પડવું ક્યાં સહેલુ છે?” ની વાત કરી. ભગવાનદાસ ભાઈએ વેણીભાઈ પુરોહિત નુ જાણીતું ગીત “તારી આંખનો અફીણી તારા બોલનો બંધાણી” ગાઈને રજુ કર્યું અને સહુએ ગાવામા સુર પુરાવ્યો. નવા સભ્ય નુરુદ્દીન ભાઈએ સુરેશ દલાલ,બેફામ, અને ઘાયલ ના કવ્ય ગઝલ માથી થોડી પંક્તિઓ રજુ કરી. ફતેહ અલીભાઈએ એક ગીત “આવ એકવાર તને ફરિથી જોઈ લઉ” ભાવવાહી સ્વરે રજુ કર્યુ.
પ્રેમ વિષય પર આમ સુંદર કાવ્યો અને લેખ સાંભળવા મળ્યા. વિજયભાઈએ અંતાક્ષરી ના કાર્યક્રમ માટે નવા સુચનો રજુ કર્યા જેમા ગીત અંતાક્ષરી નુ ભવિષ્યમા આયોજન કરવાની દરખાસ્ત મુકી. માર્ચ ની બેઠકમા ફરિવાર શેર અંતાક્ષરી રજુ થશે.
આ બેઠક નો કાર્યક્રમ ઘણો સફળ રહ્યો અને સમયસર પુરો થયો. સહુ સભ્યો ચીમનભાઈ અને નિયંતિકાબેન ની મહેમાનગતિ માણીને છુટા પડ્ય
2007નાં વર્ષની છેલ્લી બેઠક આ વખતે શ્રી કિરણ અને નીરા શાહને ત્યાં પહેલા શનીવારને પહેલી ડીસેમ્બરે બપોરે 3.00 વાગે યોજાઇ સમયસર શરુ થયેલી બેઠકમાં મહેમાન કવિ ઇન્દ્ર શાહ અને મીના શાહ સાથે ઓસ્ટીનથી શકુંતલા દેસાઇ, ડો.નીલીમા અને નીખીલ મહેતા પધાર્યા હતા. દરેક બેઠકની જેમ આ બેથક્માં પણ સંખ્યા 40 જેટલી હતી.નીરાબહેને સૌનું સ્વાગત કર્યુ. દીપક્ભાઇ ભટ્ટે દરેક સભ્યોની ઓળખ ઇન્દ્રભાઇ સાથે કરાવી.
કવિ ઇન્દ્ર શાહ મૂળે વકીલ એટલે શબ્દોનાં ધનવાન અને ભાવોનાં ઉત્તમ ખેલાડી તેથી તેમને તેમના કાવ્યો વાંચવા ઇજન અપાય તે પહેલા તેમનો પરિચય આપવાનું કામ મારા માથે હતુ.વેબ જગતમાં મેં તેમના કાવ્ય ‘બેફીકરાઇ’ નો આસ્વાદ કરાવ્યો હતો ત્યારે તેમના મોતીનાં દાણા જેવા સ્વ્હસ્તાક્ષરે લખેલ “બે ફૂલ” થી હું પરિચિત હતો તેથી તેની નોંધ લઇ તેમના 1971 થી અહીંનાં લાંબાં અમેરિકન અનુભવોને ..તેમના ઓશો વાંચન ને અને જૈન તિર્થંકરો વિશેની તેમની માન્યતાઓને માન આપી તેમને તેમના કાવ્ય પઠન માટે આમંત્રણ અપાયુ.
અર્ધો કલાક્નાં તેમના પઠનમાં તેમણે તેમના કાવ્યસંગ્રહ ” ગોરખ ગોપાલમ”માંથી કેટલાંક કાવ્યો વાંચ્યા જેમા-’ગધેડો’ ‘ચહેરો’ અને ‘ગોરખગોપાલમ’ સૌને ગમ્યા.અન્ય કવિ મિત્રો સર્વ શ્રી સુમન અજ્મેરી. રસિક મેઘાણી,ધીરુભાઇ શાહ,અશોક પટેલ,મુકુંદ ગાંધી,વિજય શાહ,કિરીટ મોદી,શૈલા મુંશા,પ્રવિણા કડકીયા,નીરા શાહ અને દેવિકાબેન ધ્રુવે પણ પોતાની કૃતિઓ રજુ કરી હતી. મહેમાન કવિયત્રી શકુંતલા દેસાઇએ પણ પોતાનુ અંગ્રેજી કાવ્ય સંભળાવ્યુ હતુ.
ગુજરાતી સાહિત્ય સરિતાની શીસ્તબધ્ધતા અને સમયની ચુસ્તતાને મહેમાનો એ વખાણી..અને સાહિત્યની જાણવણીનું કાર્ય અહીં સારી રીતે થાય છે તેવો આનંદનો સુર ઇન્દ્રભાઇનો અને અન્ય મહેમાનો નો હતો. દીપક્ભાઇ એ યજમાન મહેમાન અને સૌ સભ્યોનો આભાર માનીને બેઠક સંપન્ન કરી હતી.
4 નવેમ્બર 2007 નાં રોજ કો ઓર્ડીનેટર શ્રી દિપક ભટ્ટને ત્યાં યોજાયેલ સાહિત્ય સરિતાની નિયમિત માસિક બેઠક્માં કદાચ સમગ્ર વિશ્વમાં પ્રથમ ગુજરાતી શેર અંતાક્ષરીનો નૂતન કાર્યક્રમ યોજાયો.
આ બેઠકનાં સંવાહ્ક ડો.ભગવાનદાસ પટેલ હતા જેમણે બેઠક્નાં વિષય ‘આનંદ અને આભાર’ વિશે માહીતિ આપી અને સભા સંચાલન પ્રાર્થનાથી શરુ કર્યુ..મનોજ મહેતાએ તેમણે લખેલ તાજા ચાર મુક્તકો વાંચી આભાર વિષયને સંભાળ્યો. દેવિકાબેન ધ્રુવ અને સુમન અજમેરી નવતર વિષયો લાવ્યા હતા જેમા મહદ અંશે પ્રભુ તો કેટલો પાંગળો છે એવી માન્યતાને મજબુત કરતુ કાવ્ય સુમનભાઇએ કહ્યુ અને દેવિકાબેને પ્રતિ કાવ્ય સ્વરુપે જવાબ આપ્યો પ્રભુ તુ સર્વવ્યાપ્ત છે તારી અમને જરુર છે. શ્રી ધીરુભાઇ શાહે તેમની કવિતા સરળ ભાષામાં અને વિષય આધારીત રજુ કરી. વૈષ્ણવજન તો તેનેરે કહીયે નો ખુશવંતસીંઘ દ્વારા થયેલ અનુવાદ હ્યુસ્ટનનાં ગાંધી શ્રી અતુલ કોઠારીએ વાંચ્યો.
મુકુંદ ગાંધી એ ડો. દિનેશ શાહની કવિતા વાંચી જે અમેરિકામાં કમાતા દિકરાઓ જે વતનમાં માબાપને જે ભુલી ગયાછે તેમની વ્યથાને વણી. વિજય શાહે શ્રી ઇન્દ્ર શાહ ની કવિતા ‘કાવડ’ વાંચી આજનાં શ્રવણને યાદ કર્યો. ફતેહ અલી ચતુરે તેમની મનોરંજક અદામાં અશોક ચક્રધરની કવિતા સંભળાવી સૌને આનંદીત કર્યા. શ્રી દીલિપ પરીખે અગીયારસ થી નૂતન વર્ષ સુધી દિવાળીનાં દિવસોનુ મહત્વ સમજાવ્યુ અને આધ્યાત્મિક રીતે દિવાળી કેમ ઉજવાય તેના મનોગમ્ય સુચનો કર્યા. ડો ભગવાનદાસે પ્રસંગોચીત આભાર અને આનંદ વિશે તેમનું મનનીય વક્તવ્ય રજુ કર્યુ. દિપક ભટ્ટ ગુજરાતી સાહિત્ય સરિતાનાં ભાવી કાર્યક્રમો અને આયોજન અંગે તેમના અભિપ્રાયો આપ્યા.
બહુ અપેક્ષિત નવો શેર અંતાક્ષરીનો કાર્યક્રમ શરુ કરતા પહેલા આ કાર્યક્રમનુ માળખુ તૈયાર કરનાર શ્રી સુમન અજમેરીનું અભિવાદન થયું.
45 થી વધુ ગુજરાતનાં જાણીતા અને સ્વિકૃત કવિ અને ગઝલકારોનાં લગભગ 81 શેરો 8 સભ્યો સર્વ શ્રી રસિક મેઘાણી, સુરેશ બક્ષી, મનોજ મહેતા, અશોક પટેલ દેવિકાબેન ધ્રુવ, ફતેહઅલિ ચતુર,પ્રવિણા કડકીયા અને શૈલા મુનશા એ રજુ કર્યા. સમગ્ર અંતાક્ષરીનું સુચન શ્રી કીરિટ ભક્ત અને રસેશ દલાલનું હતુ. આ અંતાક્ષરીનું આયોજન અને સંચાલન વિજય શાહે કર્યુ હતુ.
કાર્યક્રમનાં શ્રોતાઓમાં લગભગ દરેક સ્પર્ધકોનાં શેરો ઉપર દાદ મળતી હતી. અને આવા કાર્યક્રમો વધુ કરો કે જેથી ગુજરાતી સાહિત્યની જાણવણી અને લોક્ભોગ્યતા જળવાય તેવુ મંજુલાબેન પટેલનું સુચન આવ્યુ હતુ. આવા કાર્યક્રમો લોકભોગ્ય રીતે મોટા પાયે કરવાનુ અને સ્પર્ધકોને વધુ સાહિત્ય મળે તો આપણો અમર વારસો સચવાય તેવુ પણ કેટલાક મંત્ર મુગ્ધ શ્રોતાઓએ સુચવ્યુ હતુ.
સ્પર્ધકોની રજુઆત અને તેમણે કરેલ કાર્યની મુલવણી માટે ત્રણ જજ ડો ભગવાનદાસ પટેલ, મુકુંદ ગાંધી અને હેમંત ગજરાવાલા હતા. સર્વ શ્રી દેવિકાબેન ધ્રુવ અને મનોજ મહેતાને સારી અને અસરકારક રજુઆત માટે સન્માન્યા હતા અને દરેક સ્પર્ધકોને શ્રોતાઓએ વધાવ્યા હતા. ગુજરાતી સાહિત્યની ઉંચેરી સંસ્કાર મુડીને વિદેશમાં સાચવવા મથતા લગભગ દરેક ગુજરાતીને આ પ્રયોગનો આનંદ હતો અને નવતર પ્રયોગ માટે અભિમાન હતુ. અને આવા કાર્યક્રમોનું સ્તર નાની બેઠકથી વધારી મોટા કાર્યક્રમ સ્તરે લઇ જવા સુચન થયુ હતુ