May 27 2025
૨૬૮મી બેઠકનો અહેવાલ
ગુજરાતી સાહિત્ય સરિતાની ૨૬૮મી બેઠક રવિવાર, મે ૧૭મીએ સાંજે ૪ વાગે સુગરલેંડના Clyde and Nancy Jacks Conference Center માં મળી હતી.
આ બેઠકમાં ૭૩ સભ્યોની હાજરી હતી.
આ બેઠક ગુજરાતી સાહિત્યના ખુબ જ લાડીલા અનિલ જોશી અને પુરુષોત્તમ ઉપાધ્યાયને સંગીતમય શ્રદ્ધાંજલિ આપવા યોજાઇ હતી.
ભાવનાબહેન દેસાઈએ સરસ્વતી વંદનાથી બેઠકની શરુઆત કરી.
ત્યારબાદ દેવિકાબહેન ધ્રુવે ‘આકાશમાં જૂઠાં વાદળાં છે’ એ અછાંદસ કવિતાનો ઝીણવટથી દરેક પંક્તિનો વિગતવાર આસ્વાદ કરાવ્યો. તેમાં રહેલ વ્યંગ, ચિત્રાત્મક્તા,અલંકાર, ગર્ભિત સંદેશ વગેરે કાવ્યતત્ત્વની સમજણ આપી. પછી તેમણે હાજર રહેલ અતિથિ વાર્તાકાર પદ્મજાબહેન વસાવડાનો ટૂંકો પરિચય આપ્યો.
પદ્મજાબહેને અનિલ જોશીની વિખ્યાત કવિતા “મારી ડાળખીમાં પાંદડા નથી, મને પાનખરની બીક ના બતાવો” નો રસસ્વાદ કરાવ્યો (https://youtu.be/31a5CQSHR38?si=G0fTr17nJPEJ9j6L), અને કવિ દુન્યવી સ્થૂળ વસ્તુઓથી નિર્મોહી થયા હોવા તરફ નિર્દેશ કરીને કહ્યું કે આ કવિતાએ એમને અમરત્વ અપાવ્યું છે.
ત્યારબાદ ભાવનાબહેન દેસાઈએ કહ્યું કે પુરુષોત્તમ ઉપાધ્યાયના જીવન વિષે એમના સંગીત સિવાય ન કહી શકાય. તેઓ પુરુષોત્તમભાઈ પાસેથી સંગીત શીખ્યાં હતાં. તેમણે પુરુષોત્તમભાઈએ compose કરેલ ગીતો સંગીત સાથે રજૂ કર્યા જે બધાએ ખૂબ આવકાર્યા.
ગોકુળ વ્હેલેરા પધારજો – નરસિંહ મહેતા
ગામ લીમડીના બજારે વ્હાલો મારો જુએ છે – પુ. ઉપાધ્યાય
હૈયું ઠાલવવું છે મારે – ગની દહીંવાલા
માંડવાની જૂઈ – જીતુભાઈ મહેતા
આજ રે સુતેલું જીવન જગ્યું – બાદરાયણ
હૈયાને દરબાર – ભાસ્કર વોરા
પછી દક્ષાબહેન તુરખિયાએ પુરુષોત્તમ ઉપાધ્યાયના કાર્યક્રમોના તેમના અવિસ્મરીણ્ય અનુભવો વિષે વાતો કરી.
ત્યારબાદ નયનાબહેન શાહે અનિલ જોશીના જીવન વિષે માહિતિસભર રજૂઆત કરી. ૧૯૪૦માં ગુજરાતના ગોંડલમાં જન્મેલા અનિલભાઈને હાઈસ્કૂલના વર્ષોમાં ક્રીકેટર બનવાની અદમ્ય ઇચ્છા હતી પણ રમત દરમ્યાન આંખમાં થયેલ ઇજાને લીધે ક્રિકેટ છોડવી પડી. અમદાવાદમાં ગુજરાતી અને સંસ્કૃતમાં B.A. કર્યા પછી સાહિત્ય તરફ વળ્યા. તેમનું કાવ્ય “પરીઘો” (circumferences) ૧૯૬૦માં ‘કુમાર’ માસિકમાં પ્રકાશિત પામ્યું. આ તેમની પ્રથમ સિદ્ધિ રહી. ત્યારપછી તેમના કાવ્યસંગ્રહ “કદાચ” અને “બરફના પંખી” ખૂબજ લોકપ્રિય થયાં. તેમણે ‘Statue’, ‘Ballpen’, ‘બારીને પડદાનું કફન’, ‘કાગડો ધોળા દિવસનું અંધારું છે’ નિબંધસંગ્રહો લખ્યાં. ‘Statue’ નિબંધસંગ્રહને ગુજરાતી સાહિત્ય પરિષદનો પુરસ્કાર મળ્યો. ૨૦૧૦માં તેમને નરસિંહ મહેતા એવોર્ડ મળ્યો. મુંબઈ નગરપાલીકામાં ૧૯૭૦થી ઘણાં વર્ષો સુધી શહેરની સ્કૂલોમાં ગુજ્રરાતી પાઠ્યક્રમના સક્રિય સલાહકારની જવાબદારી સ્વીકારીને શિક્ષણક્ષેત્રમાં ખૂબ મહત્વનો ફાળો આપ્યો.
ત્યારબાદ નરેન્દ્રભાઈ વેદે “આપણું આંગણું” બ્લોગ પરથી અનિલ જોશીના facebook પર પોસ્ટ થયેલ અછાંદસ કાવ્ય
વાંચી સંભળાવ્યું.
‘મારી ઇચ્છાઓને પેલે પાર આકાશમાં …’
ત્યારબાદ નિખિલભાઈ મેહતાએ પુરુષોત્તમ ઉપાધ્યાયે સ્વરાંકીત કરેલ ગની દહીંવાલાની ગઝલ “દિવસો જુદાઈના જાય છે” સુંદર રીતે ગાઈ સંભળાવી જે બધાંએ માણી..
પછી પ્રકાશભાઈ મજમુદારે પુરુષોત્તમ ઉપાધ્યાયનું “કહું છું જવાનીને પાછી વળી જા” ગીત સંગીત સાથે સુંદર રીતે ગાયું જેને સૌનો આવકાર મળ્યો.
અંતે નરેન્દ્રભાઈ વેદે બધા ભાગ લેનાર સભ્યોનો સુંદર રજૂઆત માટે, સુગરલેંડ નો નિઃશુલ્ક હોલ વપરાશ માટે, અશોકભાઈ ભાવસારનો sound system માટે, અને જયંતભાઈ પટેલનો ફોટોગ્રાફી માટે આભાર માન્યો. વધુમાં તેમણે બધાં સાહિત્યપ્રેમીઓને “આપણું આંગણું” બ્લોગ જે નિઃશુલ્ક છે subscribe કરવા આગ્રહભરી વિનંતિ કરી. https://aapnuaangnu.com/
આ રીતે આખી બેઠક અનિલ જોષી અને પુરુષોત્તમ ઉપાધ્યાય ને કાવ્ય અને સંગીતમય શ્રદ્ધાંજલિ માટે યાદગાર બની રહેશે.
લેખન – નરેંદ્ર વેદ
સંપાદન – દેવિકાબહેન ધ્રુવ
અહેવાલ લેખન (શુદ્ધલેખન) અને આ સાઈટ પર ફોટા સહિત મૂકવા અંગે વિકાસ થઈ રહ્યો છે તે ખૂબ આનંદની વાત છે. પ્રયાસ કરવામાં સક્રિય રહેનાર સૌને અભિનંદન અને શુભેચ્છા. આશા છે કે, વધુ ને વધુ સભ્યો અહીં મુલાકાત કરતા રહે અને પોતાનો પ્રતિભાવ પાઠવે.