Dec 01 2025
૨૭૪મી બેઠકનો અહેવાલ
ગુજરાતી સાહિત્ય સરિતા, હ્યુસ્ટનની ૨૭૪મી બેઠક રવિવાર, નવેમ્બર ૯, ૨૦૨૫ ની સાંજે ૫ વાગે સુગરલેંડના Clyde and Nancy Jacks Conference Center ખાતે યોજવામાં આવી હતી.
બેઠકના પ્રથમ ભાગની શરુઆત શ્રીમતી જ્યોત્સનબેન વેદે સરસ્વતીમાની વંદનાથી કરી. શ્રી નરેંદ્રભાઈ વેદે આજની બેઠકના મુખ્ય વક્તા શ્રી રાજેશભાઈ પટેલનો પરિચય આપ્યો.
“ગ્રીન ડૉક્ટર “ તરીકે પ્રસિદ્ધિ પામેલા રાજેશભાઈ ‘યોગાહાર -આહારનો યોગ’ પુસ્તકના લેખક છે. વ્યવસાયે ઈજનેર એવા રાજેશભાઈએ એન્જીનીઅરની નોકરીમાંથી સ્વૈચ્છિક નિવૃત્તિ લઈ Naturopathy (કુદરતી ઉપચાર)નો અભ્યાસ કરી , એ દ્વારા જ માનવસેવા કરવાને જીવનધ્યેય બનાવ્યું છે.
યોગાહાર આજની બેઠકનો વિષય. રાજેશભાઈએ એને રસપ્રદ બનાવી slideshow સાથે રજૂ કર્યો. આહારનો યોગ એટલે યોગાહાર. યોગશાસ્ત્રમાં કહ્યું છેઃ “ઈંદ્રીયોનો રાજા મન અને મનનો રાજા શ્વાસ છે.” શ્વાસનું નિયમન સ્વસ્થ મન-શરીર માટે જરુરી છે. આનાથી કેન્સર જેવા હઠીલા રોગો પણ મટી શકે છે.
યોગ એટલે “યોગઃ કર્મસુ કૌશલમ”. આહાર કેવો, કેટલો, કેવી રીતે લેવો અને કેવી રીતે રાંધવો (તૈયાર કરવો) તે આહારનું યોગવિજ્ઞાન. આ રીતે યોગાહાર કરવાથી આધિ, વ્યાધિ અને ઉપાધિનો ઉકેલ મળે છે. રાજેશભાઈએ સરળ ઉદાહરણો અને હળવા વિનોદ સાથે વિષયને સમજાવ્યો. અંતે સ્વાસ્થ્ય માટેની પાંચ પ્રતિજ્ઞાઓ યાદ રાખવા સૂચવ્યું. વધુ સમજ માટે નીચેનાં ફોટોગ્રાફ મદદરુપ થશે.
સૌ શ્રોતાઓએ આખોય વાર્તાલાપ ખૂબ માણ્યો. એટલું જ નહિ, પરંતુ રસપ્રદ પ્રશ્નોત્તરીમાં ઉત્સાહથી ભાગ લીધો.
રિદ્ધિબહેન દેસાઈએ સરળ ભાષા અને રમૂજી ઉદાહરણો સાથે આહારયોગનુ પ્રાથમિક જ્ઞાન આપવા બદલ રાજેશભાઈનો આભર માન્યો અને કહ્યું કે આજે તો તેમણે icebergની ટોચ જ માત્ર બતાવી છે., પણ વધુ ઊંડાણથી વિષયનો આસ્વાદ કરાવવાનું ભાવભર્યું નિમંત્રણ પણ આપ્યું. રિદ્ધિબહેને આ વિષય પર શ્રીમતી દેવીકાબહેનનો સંદેશો વાંચ્યો, જેમાં ગીતાના છઠ્ઠા અધ્યાયમાંથી વિષયાનુરુપ સુંદર સંસ્કૃત શ્લોકો ટાંક્યાં હતાં.
બેઠકના બીજા ભાગમાં નિખિલભાઇ, અવનીબહેને અને નરેંદ્રભાઇએ ખૂ બ વિચારી તૈયાર કરેલી સાહિત્યની બીંગો રમત રમ્યાં. આ રમતની વિશેષતા એ હતી કે અંકોને બદલે સાહિત્યકારો અને વ્યક્તિ વિશેષોના નામ રાખવામાં આવ્યાં હતાં, જેથી તે મહાનુભાવો વિષે , તેમના ચારિત્ર વિષે જાણ્વાની ઉત્સુકતા થાય.
યોગાહારના વિચારને અનુરુપ સૂપ-સેંડવીચ અને સલાડની મિજબાની સૌએ માણી.
યોગાહારની સમજ, અલ્પાહરની મોજ અને સાહિત્ય બિંગોની જ્ઞાનગોષ્ઠિ વાગોળતા સૌ આનંદથી છૂટાં પડ્યાં.
લેખન – મીતાબહેન ભટ્ટ
સંપાદન – રિદ્ધિ દેસાઈ