Dec 23 2010
હ્યુસ્ટન ગુજરાતી સાહિત્ય સરિતાની એક યાદગાર બેઠક- ડિસેમ્બર ૧૨,૨૦૧૦…અહેવાલ-શૈલા મુન્શા
સાહિત્ય સરિતાની બેઠકનુ આયોજન તા.૧૨/૧૨/૧૦ ના રોજ બપોરે ૨.૦૦ થી ૪.૩૦ શ્રી કીરિટભાઈ અને ઈંદીરાબેન ના ઘરે યોજવામાં આવેલ. ગુજરાતી બેઠક ની શરૂઆત સમયસર કરવામા આવી અને યજમાન દંપતિ એ મા શારદા ની સ્તુતિ થી સભાની શરૂઆત કરી. સાહિત્ય સરિતાના સંચાલક શ્રી હેમંતભાઈ એ સભાની કાર્યવાહી ની વિગત આપી સભાનુ સંચાલન અશોકભાઈ ના હાથમાં સોંપ્યું.
અશોકભાઇએ કયા વિષય પર કાવ્ય બોલાશે એનો આછેરો પરિચય આપતાં કહ્યું કે કવિને ક્યારેય બંધન ન હોય માટે દરેકને પોતાની મનગમતી કૃતિ રજુ કરવાની છૂટ છે. સૌ પ્રથમ એમણે ઈંદુબેનને પોતાની કૃતિ રજુ કરવા આમંત્રણ આપ્યું.
ઈંદુબેને “પાનખર” નુ કાવ્યરજુ કર્યું જેમા પાનખર ને મા સાથે સરખાવી કહ્યું
“ખાખી લાલ પીળા વસ્ત્રો તણી, શાખાઓ બિચારી શરમાઈ ઝુકી
લીલીછમ માતા દીશે સુકી રૂડી, નનડે પાનખર માતાને કદી.”
ત્યારબાદ શૈલાબેને પોતાની સુંદર શૈલીમાં એમણે જીવનની સમી સાંજે જીવનનુ સરવૈયું કાઢતા અને પંખી યુગલ અને માનવયુગલ ની સરખામણી નુ સુંદર કાવ્ય રજુ કર્યું.
“વડલાની ડાળ બેઠા પોપટ ને પોપટી સમી સાંજે,
દિનભરનીઉડાણ નો ઉતારતા થાક સમી સાંજે
ઝુલતા હિંચકાની કોર બેઠા એ દંપતિ.
જીંદગાની ની સફરનો ઉતારતા થાક સમી સાંજે.”
માસીના હુલામણા નામથી મશહુર અને એમના બુલંદ અવાજથી લોકગીતોને રજુ કરનાર માસીએ શ્રી ઈન્દુલાલ ગાંધીનુ પ્રખ્યાત કાવ્ય “આંધળી મા નો કાગળ” બહુ ભાવવાહી સ્વરે ગાઈને સહુ શ્રોતાજન ની આંખ ભીની કરી દીધી.
વિનોદભાઈ પટેલ સાહિત્યસરિતાના ગૌરવ સમા અને આંતરરાષ્ટ્રિય સ્તરે ચિત્રકાર તરીકે પ્રસિધ્ધ એમણે જ્યોતિ ભટ્ટ જે ભારત ના આધુનિક ચિત્રકાર છે એમનીકલા વિશે વાત કરતાં કહ્યું કે ભીંતચિત્રોની કલા જે ભુંસાતી જાય છે એને જાળવવા જ્યોતિભાઈએ ચિત્રો ની છબી લઈ આખો સંગ્રહ તૈયાર કર્યો છે. ફતેઅલીભાઈએ કોઈના દિલ સાથે રમત રમતા પહેલાં ઘણો વિચાર કરજો વિશે કાવ્ય રજુ કર્યું.
દેવિકાબેન ધ્રુવે પોતાની કૃતિ રજુ કરવાને બદલે ચંદ્રકાંત શાહની કૃતિ રજુ કરી જેમા અમેરિકામાં આવનાર દરેક નવી વ્યક્તિની જાતની ઓળખના ચૂરેચૂરા થયાની વેદનાની વાત છે.
“આ દુનિયામાં જન્મ્યા તેથી અહિંના, બાકી મૂળ અમે ના કહિંના”
સુરેશ બક્ષી એ સુંદર ગઝલની રજુઆત કરી.
“આંખોમાં પ્રતીક્ષા ના વાદળ વરસી ગયા
તમારૂ મુખારવિંદ જોવા તરસી ગયા.”
હેમાબેન પટેલે “સત ચિત આનંદ” પર સરસ કાવ્ય રજુ કર્યું.
‘નીજ અંદર ભર્યો અનંત ભંડાર, સમાય પુરૂ બ્રહ્માંડ
અજ્ઞાની આ મન, થયું આત્મજ્ઞાન, સત ચિત આનંદ.
નુરૂદિનભાઈ ગરેડીયાએ સુરેશ દલાલનું ભાવવિભોર કાવ્ય પઠન કર્યું.
‘ડોશાએ ડોશીને કહ્યું કે તુ હાથમાએ મહેંદી મુકાવ.”
પ્રકાશ મજમુદારે શૂન્ય પાલનપુરી ની મસ્તભરી ગઝલ પોતાના સુરીલા કંઠે રજુ કરી.
“આંખડી છેડે સરગમ હ્રદય તાલ દે, અંતરો ગાય પંચમના સૂરે ગઝલ”
રસેશભાઈ દલાલે ગુજરાતી સાહિત્ય સરિતા દ્વારા આયોજીત થનાર દશાબ્દી વિશે સહુ મિત્રોને બિરદાવતુ કાવ્ય રજુ કર્યું. ” ચાલો મિત્રો દશાબ્દી ઉજવીએ”
હેમંતભાઈ ગજરાવાલા એ વસંત વિશે લખાણ વાંચ્યું. જુદા જુદા દેશમા વસંતમાં કુદરત પશુ પંખી વગેરેમાં કેવી રીતે ચેતનાનો સંચાર થાય છે એની વાત કરી.
અશોકભાઈ એ સહુથી ટુંકી વાર્તા જે ફક્ત છ શબ્દમા લખાઈ છે અને જે અર્નેસ્ટ હેમિંગ્વે એ લખી છે તેની વાત કરી. છ શબ્દોની વાર્તામાં કેટલું કૌવત છે જેના પર મહાનિબંધ લખી શકાય.
“For sale baby shoe, never worn”
આમ સરસ કાવ્યોની રમઝટ પછી સભાનો દોર ફરી હેમંતભાઈએ સંભાળ્યો અને એમણે તથા રસેશભાઈ એ સાહિત્યસરિતા જે દશ વર્ષ પુરા કરી રહી છે એની ભવ્ય ઉજવણી ની તૈયારી વિશે માહિતી આપી અને આભારવિધિ કરી
છેલ્લે યજમાન દંપતિ સ્વાદિષ્ઠ નાસ્તા અને સાથો સાથા લિજ્જતદાર ચા પિરસી..અને એક યાદગાર બેઠકનું વિસર્જન થયું.
અહેવાલ: શૈલા મુન્શા.