May 28 2009
મે (૨૦૦૯) બેઠક્નો અહેવાલ-શૈલા મુન્શા
ગુજરાતી સાહિત્ય સરિતા ની ૮૬મી બેઠકનુ આયોજન જયંતભાઈ ને ત્યાં ૧૭મી મેના રોજ કરવામા આવ્યું હતું. આ બેઠકમા ફ્લોરિડા અને ડલાસથી ખાસ બે જાણીતા કવિમિત્રો ડો. દિનેશ શાહ અને હિમાંશુ ભટ્ટે હાજરી આપીને સભાનુ ગૌરવ વધાર્યું હતું.
કલ્પના બેન મહેતાએ સુંદર પ્રાર્થના ગાઈને કાર્યક્રમની શરુઆત કરી. સભાના સંચાલક શ્રી વિજયભાઈ શાહે ગુજરાતી શબ્દ સ્પર્ધાનો નવતર પ્રયોગની માહીતિ આપી હતી અને દરેક કવિની કાવ્ય રચના બાદ તેઓ બે નવા શબ્દ ભગવદ ગો મંડળમા થી રજુ કરી એનો અર્થ આપતા હતા જે દરેકના ગુજરાતી ભાષાના જ્ઞાનમા વધારો કરતા હતા.
કવિમિત્રો નો થોડો પરિચય-ડો.દિનેશ શાહ છેલ્લા ચાલીસ વરસથી અમેરિકામા વસે છે, અને તેઓ છઠ્ઠા ધોરણમા હતા ત્યારથી કવિતા લખવાનીશરુઆત કરી હતી. મુંબઈમા શ્રી ગોકુલદાસ તેજપાલ ને ભાવાંજલિ આપતો સુંદર કાર્યક્રમ “આંબે આવ્યાં મહોર” રજુ કર્યો હતો અને નડિયાદ મા લગભગ સાડાસાત કરોડ રુપિયાનો નેનો ટેકનોલોજી નો પ્રોજેક્ટ બાળકોના લાભાર્થે લઈ આવ્યા છે. અતિ સંવેદનશીલ માનવી અને એમની સંવેદના એમના ગીતો અને કાવ્યોમા જોવા મળે છે.
હિમાંશુ ભટ્ટ સારા ગીતકાર અને સારા ગઝલકાર છે અને રસિકભાઇ મેઘાણી ને તથા ડો. રઈશ મણિયારને પોતાના ગુરુ માને છે. અતિ સંવેદનશીલ કવિ છે અને ડો.દિનેશ શાહ ને રમેશ પટેલ ની સાથે એમના ગીતો ની સીડી “ત્રિવેણી સંગમ” બહાર પડી છે.
કવિમિત્રો ના આગ્રહ થી પહેલા સ્થાનિક કવિઓએ પોતાની કૃતિ રજુ કરી.સૌ પ્રથમ દેવિકાબેને દિનેશ ભાઇ ને સૂરજ અને હિમાંશુ ભાઇને ચંદ્ર સાથે સરખાવ્યા અને પછી તેમના માનમાં દિનેશ ભાઇની “માણસાઈની હેલી” કવિતા સંભળાવી અને પછી પોતાની કૃતિ શબ્દારંભે ક્કાવલિ માથી ‘હ” અક્ષર પરનુ કાવ્ય રજુ કર્યું.
“હળવી હળવી હવા હતી
હુતો હુતીની હસલ હતી.
ફતેહઅલી ભાઇએ સુરેશ દુબે નુ વ્યંગ કાવ્ય “બંગાલ કી મમતા બેનરજી ઔર દક્ષિણ કી જયલલિતા દોનો કુંવારી” રજુ કર્યું.
ધીરુભાઈ શાહે “મા નો હાથ” કાવ્ય સરળ ભાષામા રજુ કર્યું.
મનોજ મહેતાએ હિમાંશુ ભટ્ટ ની એક ગઝલ પોતે સ્વરાંકન કરીને બહુ ભાવુક અવાજે ગાઈને સંભળાવી જેના બોલ હતા
“ચાલો પછીતો આપણે મળશુ કદી કદી
બાકી રહી જે વાત તે કરશું કદી કદી.”
હીમાંશુભાઈ માટે આ સુખદ અને રોમાંચક આશ્ચર્ય હતું મનોજભાઈ એ કેરીયોકી સાથે આ ગીત ગાયુ હતું.
રસિક મેઘાણીએ એમની પત્નિને અર્પણ કરેલું કાવ્ય સુંદર રીતે ગાઈ સાંભળાવ્યું.
“અમારા જીવન સફરની સાથે
તમારી ખુશ્બુ વહી રહી છે.”
ચીમન ભાઈ પટેલે એમની આગવી શૈલીમા વ્યંગ કાવ્ય ‘મળે ન મળે” સંભળાવ્યુ.
“ખાઈલો પકવાન પેટ ભરી, મળે ન મળે
લખીલો ગઝલ શબ્દ ફરી મળે ન મળે.”
શૌલા મુન્શાએ એમની ૩૬મી લગ્નજયંતિ નિમિત્તે લખેલું અને પ્રશાંતને અર્પણ કરેલું કાવ્ય “પંખી નો માળો”રજુ કર્યુ.
“ પાંખો આવી ઊડી ગયા પંખી ગોઠવાયા નિજ માળામા
જીવનસાથી સાથ આપણો આધાર આપણે
જીવી લઈએ જીંદગાની એકબીજાના સહવાસે.”
પ્રશાંત મુન્શાએ તરતજ હળવી શૈલીમા એનો જવાબ આપ્યો.
જીંદગી લહર થી, આપ સાહિલ હુએ
ન જાને કૈસે હમ આપકી દોસ્તીકે કાબિલ હુએ
ના ભૂલેંગે હમ ઉસ હસીન પલકો
જબ આપ હમારી છોટી સી દુનિયામે શામિલ હુએ.
હવે ડો. દિનેશ શાહ ના કવ્યોની થોડી ઝલક.
૧ ‘રાત હતી ટુંકી પણ મારે ગણવા અગણિત તારા”
૨ ધીખતા રણમા અમે પ્રેમે રહીએ અમે પરદેશી વણઝારા”
૩ જીવન મરણની ઘટમાળને તુજ ખેલ સમજુ ક્યાં સુધી
માટી તણી આ જેલને આ મહેલ સમજુ ક્યાં સુધી.”
મધર ડે પરનુ એમનુ કાવ્ય હંસા દવેએ સ્વરાંકિત કર્યું હતું અને શ્રી જયંત ભાઈએ મહેનત લઈને એની સીડી શોધીને સર્વને એ ગીતનુ રસપાન કરાવ્યું.
“મા તુજ જીવન ના અજવાળે
મુજ જીવનને અજવાળું”
દિનેશ ભાઈના ગીતોની સીડી ‘ઓ ગોરી” પણ માણવા જેવી છે.
હિમાંશુ ભાઈની થોડી ગઝલોની વાત કરીએ.
૧ ન હો વિરાટ તુ જો તો સુક્ષ્મતો હશે
ન હો અમારી અંદર તો દૂર તો હશે.
૨ હે પ્રભુ આજે થયું કે તને એક કાગળ લખું
અને લાસ્ટ ટાઈમ કરતાં આગળ લખું
૩ લહેર લહેરના પ્રવાહો અલગ છે
પીગળતો પળેપળ કિનારો અલગ છે.
૪ “બાળકો ને આર્શિવાદ”
પર્વત તને મળે કે રણ તને મળે ન ડગે સફરમા તે ચરણ તને મળે
હું જાઉં તે પછી તારા વિચારોમા મારા વિચારની રજકણ તને મળે.
આ થોડી પંક્તિઓ બન્ને કવિની પ્રતિભાનો અછડતો પરિચય છે. એમને રૂબરૂ સાંભળવાનો અમુલ્ય લહાવો અમને મળ્યો એનો અમને અતિ આનંદ છે. એવી આશા કે આ લહાવો અવારનવાર મળે.
અંતે સુરેશ ભાઈ બક્ષીએ સર્વનો આભાર માન્યો અને સ્મિતા બેન અને જયંત ભાઈનું આતિથ્ય માણીને બધા છૂટા પડ્યાં
શૈલા મુન્શા ૫/૨૪/૨૦૦૯
check out some of videos on YouTube
http://www.youtube.com/user/trivenisangamteam#uploads/0/X_jmFHem1Tw
Comments Off on મે (૨૦૦૯) બેઠક્નો અહેવાલ-શૈલા મુન્શા