Mar 24 2016
ગુજરાતી સાહિત્ય સરિતા ૧૬૧મી બેઠકનો અહેવાલ
ગુજરાતીસાહિત્યસરિતાની૧૬૧મીબેઠકનોઅહેવાલ –નવીન બેન્કર
ડો ઇન્દુબેન શાહ
તારીખ ૨૮ ફેબ્રુઆરી ૨૦૧૬ને રવિવારે બપોરે બે વાગ્યે, સુગરલેન્ડના ઇમ્પિરીયલ પાર્ક રીક્રીએશન સેન્ટર હોલ ખાતે , હ્યુસ્ટનની ગુજરાતી સાહિત્ય સરિતાની, ૧૬૧મી બેઠક લગભગ પચાસેક સાહિત્યપ્રેમીઓની હાજરીમાં સંપન્ન થઈ હતી.
સંસ્થાના પ્રમુખ શ્રીમતિ ડોક્ટર ઇન્દુબેન શાહે સરસ્વતી વંદના કર્યા બાદ, કાર્યક્રમના સુત્રધાર એવા શ્રી. નિતીનભાઈ વ્યાસને માઈક સોંપી દીધું હતું. શ્રી. વ્યાસે ઔપચારિક સ્વાગત પ્રવચન કરીને, સમય બગાડ્યા વગર, કાર્યક્રમની શરૂઆત કરતાં, પીઢ સર્જક શ્રી. ધીરૂભાઇ શાહને પોતાની કૃતિ રજૂ કરવા આમંત્રણ આપ્યું હતું.
આ વખતની બેઠકનો વિષય ‘પ્રેમરસ’ હતો એટલે ધીરૂભાઇએ ‘પ્રેમ’ વિશે પોતાનું ગદ્યસર્જન વાંચ્યું.
વ્યવસાયે શિક્ષીકા એવા, શૈલાબેન મુન્શાએ સ્વરચિત હાઈકુ રજુ કર્યા પછી પોતાની એક ગીતા નામની બહેનપણી સાથેની કેડબરી અને આઈફોન અંગેની, ૨૫ વર્ષ પહેલાંની યાદોની હ્રદયસ્પર્શી વાત રજૂ કરી હતી.
હાસ્યલેખક શ્રી. ચીમન પટેલે સુખ અને દુઃખ વિશેના હાઈકુ રજૂ કર્યા હતા.
દેવિકાબેન ધ્રુવે,’ જે નથી તે પામવાની ઝંખના’ કેવી હોય છે તે પરનું એક સ્વરચિત કાવ્ય રજૂ કર્યું અને એ કાવ્યને શ્રીમતિ ભાવનાબેન દેસાઇ નામના બીજા એક સભ્યએ સ્વરબધ્ધ કરીને પોતાના સ્વરમાં , બેઠકમાં ગાઈને સંભળાવ્યું હતું. આ એક નવતર પ્રયોગ હતો જે બધાંને ખુબ ગમ્યો હતો.
સંસ્થાના બીજા એક પીઢ સભ્ય શ્રી. મુકુંદ ગાંધીએ પોતાના એક નાટક ‘હું રીટાયર થયો’ ( નટસમ્રાટ પર આધારિત ) નો એક હ્રદય્સ્પર્શી સંવાદ . અભિનય સહિત શ્રોતાઓ સમક્ષ ભજવી બતાવ્યો. એ જોઇને શ્રોતાઓએ તેમને સ્ટેન્ડીંગ ઓવેશન આપ્યું હતું. આ જ ભૂમિકા અને આ જ સંવાદ, જરા જુદા શબ્દોમાં, શ્રી. જશવંત ઠાકર, શ્રીરામ લાગૂ અને નાના પાટેકર જેવા ધુરંધર અભિનેતાઓ ભજવી ચુક્યા છે.
શ્રીમતિ ઇનાબેન પટેલે, નિનાદ અધ્યારૂ લિખિત , જીવનના હકારની કવિતા ‘અમે પણ પ્રેમ કર્યો છે’ સંભળાવી હતી. ‘પ્રેમમાં ઉંમર નહિં,અંતર ઉઘડવું જોઇએ. ગમતી વ્યક્તિનું આવવું એ રણની રેતી પર, દૂરથી દેખાતા ઝાંઝવાના જળની ચમક પણ છે અને એ જળ પીધા પછીનો સંતોષ પણ છે. ઠંડા વાયરે વાતી કોયલની કૂહુ કૂહુનો ટહુકાર હોય છે એમાં’ એવી મતલબની વાતો કહેતી આ રચનાને પણ શ્રોતાઓએ મનભરીને માણી હતી.
પાવર પોઇન્ટ ના સહારે, શ્રી. વિજય શાહે સ્ક્રીન પર, તેમના બાર હજાર પાનાંના મહાગ્રંથની વિગતે વાતો રજૂ કરી હતી અને તેના આગોતરા બુકીંગ અંગે માહિતી આપી હતી. ૧૨,૨૦૦ પાનાં અને ૧૫ કિલો વજન ના આ પુસ્તકમાં, ડાયસ્પોરા ગુજરાતી લેખકોના ૧૦૬ પુસ્તકો અને ૧૦૦ કરતાં વધુ ગુજરાતી લેખકોની કૃતિઓ સમાવેલી છે. શ્રી. વિજય શાહના આ ઓડીયો–વિડીયો પ્રેઝન્ટેશન અંગે તો એક આખો જુદો લેખ લખવો પડે.શ્રી. વિજયભાઇના આ ઉમદા કાર્યને બિરદાવતું એક કાવ્ય, સંસ્થાના બીજા એક સભ્ય શ્રી. પ્રદીપ બ્રહ્મભટ્ટે લખીને વાંચી સંભળાવ્યું હતું અને શ્રી. વિજયભાઈને અર્પણ કર્યું હતું.
અમદાવાદમાં, NRG સંમેલનમાં, શ્રી. નવીન બેન્કરના એક પુસ્તકનું લોકાર્પણ થયેલું એની પણ શ્રી. વિજયભાઈએ માહિતી આપી હતી. અમદાવાદમાં યોજાયેલા કલાપી એવોર્ડ સમારંભમાં, સંસ્થાના સભ્ય શ્રી. વિશ્વદીપ બારડ અતિથિસ્થાને હતા એનો પણ તેમણે ઉલ્લેખ કર્યો હતો.
સંસ્થાના પ્રેસિડેન્ટ ડોક્ટર ઇન્દુબેન શાહે, શ્રી. અનિલ ચાવડાની એક કૃતિ રજૂ કરી હતી. મધુસુદન દેસાઇ નામના એક સાહિત્યરસિકે કવિશ્રી. રાજેન્દ્ર શુક્લનું એક કાવ્ય વાંચી સંભળાવ્યું હતું. દેવિકાબેન ધ્રુવે પોતાના બ્લોગ પર દર શનિવારે લખાતા ‘પત્રશ્રેણી’ વિભાગના ‘પ્રેમ’ વિષયક ભાગને વાંચી સંભળાવ્યો હતો.
આ ઉપરાંત, ‘ગુજરાત ગૌરવ’ ના તંત્રી શ્રી. નુરૂદ્દીન દરેડિયા, શ્રીમતિ ચારૂબેન વ્યાસ, શ્રી. અરૂણ બેન્કર, શ્રી. પ્રશાંત મુન્શા, શ્રી. વિનોદ પટેલ વગેરે સભ્યોએ પણ, પ્રસંગોચિત, પ્રેમ વિષયક વાતો /કૃતિઓ રજૂ કરી શ્રોતાઓને પ્રેમરસમાં તરબોળ કરી મૂક્યા હતા.
અંતમાં, આ અહેવાલના લેખકે, ૧૨મી માર્ચે સંસ્થા દ્વારા આયોજિત, કવિશ્રી. અનિલ ચાવડા ના કાર્યક્રમ અંગે અને શ્રી. અનિલ ચાવડા અંગે વિશદ માહિતી ઉપલબ્ધ કરાવી હતી.
પ્રમુખ ડોક્ટર ઇન્દુબેન શાહે આભારવિધી કરી હતી, શ્રી. જયંતભાઇ પટેલ અને ડોક્ટર રમેશ શાહે હાજર રહેલા સભ્યોનો ગ્રુપફોટો લીધો હતો અને સૌ અલ્પાહાર લઈને છૂટા પડ્યા હતા.