Apr 08 2012

ગુજરાતી સાહિત્ય સરિતાએ ઉજવી ૧૨૦મી બેઠક -અહેવાલ -નવિન બેંકર છબી –જયંત પટેલ

Published by at 5:02 pm under બેઠકનો અહેવાલ

 ગુજરાતી સાહિત્ય સરિતા ઓફ હ્યુસ્ટનની ૧૨૦મી બેઠક,તારીખ ૨૪ માર્ચ ૨૦૧૨ને શનિવારની બપોરે, “ભોજન” રેસ્ટોરંટના હોલમાં મળી હતી. લગભગ સાઈઠ જેટલા સર્જકો અને સાહિત્યરસિકોની હાજરીમાં આ વિશિષ્ટ અને ઐતિહાસિક બેઠકમાં રજૂ કરાયેલી ક્રુતિઓનો વિષય હતો-‘એકાંતે આવી સાજન તારી યાદ’. ભાગ લેનારા કવિઓ, ગઝલકારો મોટેભાગે પંચાવન થી પંચોતેરની વચ્ચેની વયના હતા એટલે સ્વાભાવિક રીતે જ આ વિષય પર,વીતી ગયેલા દિવસોની યાદો કે વિખૂટા પડી ગયેલા જીવનસાથી સાથેના સંભારણાને લગતી રચનાઓ જ રજૂ થાય.

કાર્યક્રમના કો-ઓર્ડીનેટર શ્રી. સતિષભાઇ પરીખે સમગ્ર કાર્યક્રમની રુપરેખા આપતાં કહ્યું કે  આજનો આ કાર્યક્રમ બે ભાગમાં વહેંચાયેલો છે.પ્રથમ ભાગમાં,સર્જકો પોતાની ક્રુતિઓ રજૂ કરશે. અલ્પાહાર બાદ ત્રણ સર્જકો વિવિધ વિષયો પર પોતાનું મંતવ્ય રજૂ કરશે.હ્યુસ્ટનના જાણીતા કવિયિત્રી દેવિકાબેન ધ્રુવ ગઝલ વિષે, હાસ્યલેખક શ્રી. ચીમનભાઇ પટેલ (‘ચમન’) હાસ્યલેખોના સર્જન વિષે તથા જાણીતા નવલકથાકાર શ્રી. નવીન વિભાકર ટેલીફોનિક વાર્તાલાપ દ્વારા નવલકથાના સર્જન વિષે  આપણને માહિતી આપશે.

વિલાસબેન પીપલીયા નામના  સાહિત્યરસિક બેને ,જૈન પ્રાર્થનાથી શરુઆત કરીને , આજના માસ્ટર ઓફ સેરિમની અને સાહિત્ય સરિતાના એક મોવડી  વિજયભાઇ શાહને માઈક  સોંપી દીધું હતું.

વિજયભાઇ શાહ એક ઉત્સાહી, સૌમ્ય અને મિતભાષી લેખક છે. સાચા અર્થમાં સાહિત્ય સરિતાના “ચાલક બળ” સમા છે.’સરિતા’ના સર્જનથી લઈને તેમણે હ્યુસ્ટનમાં ઘણા લેખકોને લખવા પ્રેર્યા છે.દરેક રજૂ થતી કૃતિ બાદ કોઇ કોમેન્ટ કે શાયરી કે ગઝલ મુકવાને બદલે તેમણે સાહિત્ય સરિતાના અગિયાર વર્ષોના યાદગાર પ્રસંગોની યાદોને રસપુર્વક રજૂ કરી હતી.શ્રી.વિજયભાઇએ શીકાગો સ્થિત ગઝલકાર શ્રીભરત દેસાઇની એક ગઝલ રજૂ કરી-

એકાંતે આવી તારી યાદ સજન

જાણે લાગે છે ઝંઝાવાત સજન

 

તારી જીદે મૌસમ બદલાઇ ગઈ

પે’લા જેવો ક્યાં છે વરસાદ સજન

 

જા તારા સઘળા ગુન્હા માફ કર્યા

ને કરવી પણ કોને ફરિયાદ સજન

ડોક્ટર ઇન્દુબેન શાહે

જુવાનીના જોમમાં પ્રતિક્ષા કરી ઊભા વાટે

રસતરબોળ ભીંજાયા વરસતા વરસાદે
 
વર્ષો વિત્યા સહવાસ તારો શ્વાસે શ્વાસે
વસ્યા મહેલે વગડે સુખ દુઃખ સાથે
 
મીઠા વાદ વિવાદ કદીક વાસણ ખખડ્યા
રીસામણા મનામણા એકાંત યાદે રડ્યા
 
સાજન મારો એક બસ વ્હાલ વરસાવે
યાદ બસ સાજન તારી એકાંતે આવે

જેવા શબ્દો ધરાવતી રચના રજૂ કરી હતી.

મુળ હ્યુસ્ટનના, પણ હાલમાં ઓસ્ટીન વસેલા સરયુબેન પરીખે ટેલીફોન પર પોતાની રચના સંભળાવી હતી. હેમાબેન પટેલે સુંવાળા દિવસોની સુખદ પળોને અને ઘાયલ દિલની, વિરહની પળોને ઉજાગર કરતી એક રચના સંભળાવી હતી.શૈલાબેન મુન્શા નામના એક કવયિત્રીએ પણ વિરહની પળોમાં વિખૂટો પડી ગયેલો સાજન કેટલો યાદ આવે છે તેનું વર્ણન કરતું એક કાવ્ય રજૂ કર્યું હતું. દેવિકાબેન ધ્રુવે પણ પોતાની એક છંદોબધ્ધ ગઝલ સંભળાવી હતી .’મનુજ હ્યુસ્તોનવી’ના નામે ગઝલો લખતા કવિશ્રી. મનોજ મહેતાએ પણ ‘શમણું હતું જે ખુલ્લી આંખે’ શિર્ષક ધરાવતી રચના સંભળાવી હતી.ચિમનભાઇ પટેલે આદિલ મન્સુરીની ખ્યાતનામ રચના ‘ફરી મળે ના મળે ‘નો રદીફ લઈને સર્જેલી હાસ્યપ્રધાન ગઝલ સંભળાવી, શ્રોતાઓને હાસ્યમાં તરબોળ કરી મુક્યા હતા.

ખાઈ લો પકવાન પેટ ભરીને, ફરી મળે મળે

લખી લો તમે ગઝલ,  શબ્દો ફરી મળે મળે !

 

કરી રાખ્યું છે ધન ભેગું આજ સુધી ઘણું,

દઈ દે દાનમાં લેનાર વળી મળે મળે !

ફતેહ અલી ચતુરે પોતાની લાક્ષણિક શૈલીમાં,  સામેવાળાના મનની વાત જાણી શકાય તેવા યંત્રની વાત કહેતી   એક હાસ્યસભર હિન્દી કવિતા રજૂ કરીને શ્રોતાઓને ખૂબ હસાવ્યા હતા. અન્ય કવિઓમાં ભજનિક  કવિ શ્રી.પ્રદીપ બ્રહ્મભટ્ટ, ધીરુભાઇ શાહ,અશોક પટેલ, ભગવાનદાસ પટેલ, ચિત્રકાર શ્રી.વિનોદ આર.પટેલ, કાર્યક્રમના સ્પોન્સરર શ્રી. મનસુખ વાઘેલા, નુરુદ્દીન દરેડીયા, પ્રશાંત મુન્શા, વગેરે એ પણ પોતાની રચનાઓ રજૂ કરી હતી. શ્રી. હેમંત ગજરાવાલા નામના એક સાહિત્યપ્રેમીએ એક અંગ્રેજી કાવ્ય રજૂ કરીને તેનો ભાવાનુવાદ સંભળાવ્યો હતો.

એક કવિની રચના બાદ, વચ્ચે વચ્ચે માસ્ટર ઓફ સેરિમની શ્રી. વિજય શાહે પોતાની શાંત અને સૌમ્ય ભાષામાં, સાહિત્ય સરિતાના આ અગિયાર વર્ષોના યાદગાર પ્રસંગો વાગોળતાં,હ્યુસ્ટન મુલાકાત ટાણે કવિશ્રી.વિનોદ જોશી સાથેના સંસ્મરણો,સહિયારા સર્જનના સંસ્મરણો,દશાબ્દી વખતના નાટકોની યાદો,  પાદપૂર્તી દ્વારા સર્જાયેલ કવિતાઓ  વગેરે ઘણું બધું  યાદ કર્યું હતું અને એ અગિયાર વર્ષો શ્રોતાઓની આંખ સમક્ષ તાદ્રુશ કરી દીધાં હતાં.

આમ કાર્યક્રમના પ્રથમ ભાગમાં ‘એકાંતે આવી સજન તારી યાદ’માં પુનમની રાત..ચાંદની રાત..ઘનઘોર રાત..શ્રાવણી રાત..સાજન..પિયુ..વિરહ..ને મિલન…  ને એવું બધું આવી ગયું. .મોટાભાગના સર્જકો પંચાવન વટાવી ગયેલા છે એટલે કાં તો જૂવાનીના દિવસોને યાદ કરીને ઉર્મિઓને કાગળ પર ઉતારે છે અથવા પ્રકૃતિપ્રેમ ,નિસર્ગ સાથેની પ્રીતિ, પાણી, વૃક્ષ ગગન, સુરજ, તારાઓ, ચાંદો એમને આકર્ષતા હોય એવું દેખાઇ આવતું હતું.અંગત લાગણીઓનું  કાવ્યમય આલેખન ભીતરમાં ભંડારાયેલ સ્મૃતિઓની અભિવ્યક્તિ રજૂ કરાયેલી કૃતિઓમાં દેખાઇ આવતી હતી.આજે રજૂ થયેલી રચનાઓમા તેમના અનુભવો અને તેમનું આંતરવિશ્વ વિવિધ સ્વરુપે વ્યક્ત થતું જોવા મળ્યું હતું.કેટલીક કૃતિઓમાં પોતાના સજન પ્રત્યેની અતૂટ અને અમીટ ચાહનાની અભિવ્યક્તિ વ્યક્ત થતા હતા.

સમોસા,  દાળવડા, ચાહ, ચવાણુંના નાસ્તા બાદ કાર્યક્રમનો  બીજો દૌર શરુ થયો

.

 શ્રી. દીપક ભટ્ટે સાહિત્ય  સર્જનનું સ્તર કેવી રીતે ઊંચુ લાવી શકાય એ બાબત પર કેટલોક વિચારવિમર્શ  કરતાં ‘ગ્રામ્યમાતા’, ‘કરણઘેલો’ને ય યાદ કરી લીધા અને દરેક બેઠકમાં રજૂ થયેલ કૃતિની નિષ્પક્ષ સમીક્ષા કરવાની સુચના રજૂ કરી

પ્રશાંત મુન્શાએ સાહિત્ય સરિતાના નવા બોર્ડ અને નવા કો-ઓર્ડીનેટર્સની નિમણુંકની જાહેરાત કરતાં જણાવ્યું કે નવા બોર્ડની રચનામાં અગિયારને બદલે હવે માત્ર પાંચ જ બોર્ડ મેમ્બર રહેશે જેમના નામ નીચે મુજબ છે-

(૧) વિશ્વદીપ બારડ- પ્રેસિડેન્ટ,(૨) પ્રશાંત મુન્શા-  સેક્રેટરી, (૩) ડોક્ટર રમેશ શાહ, (૪) સતીષ પરીખ,(૫) વિનોદ આર. પટેલ. કો-ઓર્ડીનેટર્સ તરીકે શ્રી. નરેન્દ્રભાઇ વૈદ્ય અને શ્રી.પ્રદીપ બ્રહ્મભટ્ટ  કામગીરી બજાવશે.

શ્રી. દીપક ભટ્ટ માનનીય સલાહકાર તરીકેની ભૂમિકા ભજવશે

સર્જકોને માર્ગદર્શન નાં સ્તરે સૌથી પહેલા ગઝલનાં ક્ષેત્રે પોતાનું નામ મજબુત કરતા સભ્ય દેવિકાબેન ને આમંત્રણ અપાયુ

સંવેદનાઓને શબ્દોમાં ઢાળનાર કવયિત્રી દેવિકાબેન ધુવની રચનાઓમાં પ્રણય અને અધ્યાત્મ સમાનાંતર સ્વરુપે વહેતા જણાય છે.તેમના પ્રથમ કાવ્યસંગ્રહમાં સુમન અજમેરી જેવા સમીક્ષકને છંદશુધ્ધિનો અભાવ લાગ્યો   અને છંદદોષો પ્રત્યે અંગૂલીનિર્દેશ કર્યો એટલે તેમણે રઈસ મનીયાર ના છંદોવિધાન, જેવા પુસ્તકોના અભ્યાસ દ્વારા અભ્યાસ દ્વારા અને રસિક મેઘાણી જેવા ગઝલકાર પાસે પ્રત્યક્ષ માર્ગદર્શન લઇછંદમાં લખવા માંડ્યું .અને ગઝલ સાહિત્યને ગરિમા બક્ષતી રચનાઓ આપી. માનવીય મુલ્યો અને ભાવનાઓના પુરસ્કર્તા એવા આ કવયિત્રીનો પ્રક્રુતિપ્રેમ અને નિસર્ગ સાથેની પ્રીતિ એમની રચનાઓમાં છલકાતી જોવા મળે છે એવા હ્યુસ્ટનના ગૌરવ સમા આ કવયિત્રીએ સાહિત્યના સ્તરને ઉંચુ લાવવા વિષે બોલતાં જણાવ્યું કે ‘સાહિત્યની આ સંસ્થા એ સરસ્વતીનું મંદિર છે અને શબ્દો એ આપણી પૂજા છે. કોઇપણ પરિસ્થિતિમાં આપણે અઘટીત શબ્દો વાપરીશું નહીં અને સાચા શબ્દસાધકોની સાધનામાં ભંગ પડે નહીં તેની તકેદારી રાખીશું.અને એ રીતે સાહિત્યનું સ્તર ઉંચુ રાખીશું.મને લાગે છે કે આટલી અપેક્ષા વધારે પડતી નથી.સાહિત્ય સરિતાના કલાને ક્ષેત્રે ફળદ્રુપ એવા મંચ પર રહી હંમેશાં નવું નવું શીખવાની અને પ્રયોજવાની ધગશ રાખીશું.

બ્લોગની સુવિધાનો લાભ લઈને અહેવાલ પણ સીડી પ્લેયર પર રેકોર્ડ કરી, સાઇટ પર અપલોડ કરી શકાય.

ગઝલ અંગે બોલતાં આ  કવયિત્રીએ જણાવ્યું કે છેલ્લા અઢી વર્ષમાં જૂદા જૂદા માધ્યમો દ્વારા પોતે જે કાંઇ શીખ્યા છે તે પરથી કહી શકાય કે ગઝલનું એક તો બાહ્ય સ્વરુપ છે જે રદીફ, કાફીયા અને છંદમાં ગૂંથાયેલું હોય છે. એ ત્રણ તો એના અનિવાર્ય અંગો છે.રઈશ મણીયારે કહ્યું છે કે ગઝલને એક તંબુની કલ્પના કરો તો કાફિયા એના સ્તંભ છે. એના સમતુલન વગર ગઝલની ઇમારત ધરાશાય થઈ જાય. બીજું સ્વરુપ એનું આંતરીક છે. ગઝલ અને કોઈપણ કલાકૃતિમાં વિચારોની ઊંચાઇ હોય, શબ્દોની લયાત્મકતા હોય, લાલિત્ય હોય, અર્થનું ઊંડાણ હોય અને છેલ્લે કોઇ સરસ સંદેશની ચમતકૃતિ હોય ત્યારે એને સાહિત્યના સાચા સ્તર પર મૂકી શકાય.અભ્યાસ, આયાસ અને રિયાઝ કૃતિમાં નિખાર લાવે છે. ઉદાહરણ તરીકેઃ’કસુંબલ આંખડીના કસબની વાત શું કરવી, કલેજુ કોતરી નાજુક મીનાકારી કરી લીધી’.

આપણે સૌ જે કાંઇ લખીએ છીએ તેને ચકાસીએ, મઠારીએ.ખાલી પ્રાસ મેળવી લેવાથી કવિતા કે ગઝલ બનતા નથી.છંદમાં ન લખી શકાય તો લયબધ્ધ ગીત લખો.લય તો અનિવાર્ય છે.લય તો કુદરતમાં અને જીવનમાં-બધે જ છે.સાહિત્યના માપદંડમાં ખરી ઉતરે એવી રચનાઓ કરીએ.કેટલું લખ્યું તે મહત્વનું નથી.કેવું લખ્યું તે મહત્વનું છે.આપણા સભ્યો પાસે કલ્પનાઓ છે,શબ્દભંડોળ છે પણ આ બધું વેરવિખેર પડેલ મોતી જેવું છે એને એક નિશ્ચિત પેટર્નમાં પરોવી એક સુગઠિત માળા બનાવીએ.

સાહિત્ય સરિતાના સભ્યો અને સાહિત્યરસિક મિત્રો આ કવયિત્રીના વિદ્વતાસભર વક્તવ્યને મંત્રમુગ્ધ બની ને સાંભળી રહ્યા હતા.

ચિમન પટેલ નામના આ હાસ્યલેખક કે જેમની કલમ ધારદાર નિરીક્ષણો કરીને દ્વેષવિહીન રજૂઆત કરે છે તથા તેમના લખાણોમાં એક તાઝગી અને ઉન્મેષ હોય છે તેઓ ઘણા સમયથી હાસ્ય્લેખન ક્ષેત્રે સક્રિય છે તેમણે પોતાના હાસ્યલેખો કઈ રીતે સર્જાયા તેની નિખાલસ વાતો કરી. તેમના મંતવ્યે હાસ્ય નિષ્પન્ન ઘણૂમ જ બારીક નિરિક્ષણ અને સામાન્ય જનથી જુદુ જોવાનો કસબ માંગે છે અને કદાચ તે વાતને હાસ્ય સભર રીતે રજુ કરવું તે કળા છે. એક જ ઘટના કે જેમાં મિત્રને ત્યાં ગયા પછી લખાયેલા લેખ ઉપર તે મિત્રનાં પત્ની દ્વારા કોઇક ટીપ્પ્ણી થઇ ત્યારે તેમનો જવાબ સરળ હતો..મારા લેખમાં પાત્ર અને પ્રસંગ ગમે તે હોય પણ નિરિક્ષણ સાચુ હતુંને? તમે બંધ બેસતી પાઘડી ન પહેરી લો તેથી તો વાર્તા મારા ઘરનો પ્રસંગ હોય તેમ લખાય છે.

ફ્લોરીડા થી જાણીતા લેખક-નવલકથાકારશ્રી નવિન વિભાકરને સાહિત્ય સરિતાના સર્જકોનું સ્તર ઉપર કેવી રીતે લેવાય તે વિષે આમંત્રણ અપાયુ હતુ  શ્રી. નવીન વિભાકરે ટેલિફોનીક વાર્તાલાપ દરમ્યાન પોતાના સર્જન પર ર. વ. દેસાઇ, વિ.સ.ખાંડેકરની શૈલીની અસર હોવા વિષે જણાવ્યું.’પોતાની નવલકથા ‘કુસુમ કાપડીયા’ના સર્જનની વાતો કરી. ‘પોતાના પાત્રો પર ‘દર્શક’ના પાત્રોની અસર હોવા વિશે પણ જણાવ્યું.નવોદિત લેખકોને સંદેશ આપતાં તેમણે જણાવ્યું કે પહેલાં વાંચન અને મનન કરો.લેખક્ની શૈલી સમજવાનો પ્રયત્ન કરો. કથાની શરુઆત વાચક્ને પકડી રાખે તેવી હોવી ખુબ જરુરી છે.જે પાત્ર આપ ઉપસાવતા હો તેની વાચક ઉપર કેવી અસર પડશે તે સમજવુ અગત્યની વાત છે. ઘણી વાર તમારા પાત્રમાં પોતાની જાતને મુકી તે અનુભવને વાચક કેવી રીતે અનુભવે તે પણ જાણવુ જોઇએ.  જે લખવાનું હોય તેનો અભ્યાસ કરી, સંશોધન કર્યા બાદ જ સર્જનમાં પ્રવ્રુત્ત થાવ.નિરીક્ષણ કરો અને પછી પાત્રોનું સર્જન કરો.અનુભવોની અનુભૂતિ પાત્રાલેખનમાં ઉપસાવો.લખાણ હ્રુદયમાંથી આવવું જોઇએ’.

ડો કમલેશ લુલ્લા દ્વારા સ્મૃતિ ચિન્હ કો ઓર્ડીનેટર શ્રી સતીશભાઇ ને અપાયુ પ્રસન્ન મુદ્રામાં પ્રદી્પભાઇ બ્રહ્મ્ભટ્ટ.

અંતમાં, વિલાસબેન પિપળીયાના સુમધુર કંઠે, અવિનાશ વ્યાસની જાણીતી રચના ‘હે શ્રાવણ વરસે ઝરમરીયો વરસાદ, કાના,  આવે તારી યાદ’ સાંભળીને સૌ શ્રોતામિત્રો ચાર કલાક લાંબી આ અવિસ્મરણિય બેઠક બાદ છૂટા પડ્યા હતા.

અહેવાલ -નવીન બેન્કર  ૭૧૩-૭૭૧-૦૦૫૦.

navinbanker@yahoo.com

લખ્યા તારીખ- ૩૧ માર્ચ ૨૦૧૨

No responses yet

Comments RSS

Leave a Reply

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.