Sep 23 2008
સપ્ટેમ્બર 2008ની બેઠક-અહેવાલ: નવીન બેંકર
શ્રી ગૌરાંગ દિવેટીઆ સાહિત્ય સરિતાને આંગણે :
ગુજરાતી સાહિત્ય સરિતા,હ્યુસ્ટનની 79મી બેઠક,તારીખ 20 સપ્ટે. ને શનિવારની બપોરે,સ્થાનિક કવિઓ,લેખકો,સાહિત્યપ્રેમી શ્રોતાઓની હાજરીમાં,ભારતથી પધારેલ કવિ શ્રી ગૌરાંગ દિવેટીઆના અતિથિવિશેષ પદે રાહુલ ધ્રુવના નિવાસસ્થાને યોજવામાં આવી હતી.બેઠકના સૂત્રધાર શ્રી વિશ્વદીપ બારડ હતા.તેમના સ્વાગત પ્રવચન અને કોકિલકંઠી સંગીતા ધારિયા (ડલાસ )ની ‘મા શારદા’પ્રાર્થના પછી કાર્યક્રમની શરૂઆત થઇ.
સંસ્થાના આગેવાન લેખક શ્રી વિજય શાહના માતુશ્રીના વડોદરા મુકામે થયેલા નિધન અંગે બે મિનિટનું મૌન પાળીને શ્રી વિજયભાઇએ દિવંગત માતાની સ્મૃતિમાં લખેલ કાવ્યનું પઠન કર્યું.
તે પછી શૈલાબેન મુનશા,સર્યુબેન પરીખ,વંદનાબેન એંજિનિયર,દેવિકાબેન ધ્રુવે સ્વરચિત પદ્ય વાચી સંભળાવ્યા હતા.કવિશ્રી સુમન અજમેરીએ નદી અને કુવાની વાત કરતુ એક અછાંદસ કાવ્ય ‘જીવનની કળા’ પોતાની વિશિષ્ટ શૈલીમાં રજૂ કર્યુ.
ત્યારબાદ શ્રી વિશ્વદીપ બારડે અતિથિવિશેષ ગૌરાંગભાઇનો પરિચય આપતા તેમની થોડી પંક્તિઓ
‘ સૂરજ વિનાનુ પેલું તડકાનું ફૂલ,સૂંઘી શકો તો જરી સૂઘો ,
દ્રષ્ટિ વિનાની કોઇ ખાલીખમ આંખોમાં ફરકી શકો તો જરા ફરકો ‘.
અને
‘મારે વણખૂલ્યા હોઠોની કહેવી છે વાત ‘ ની ઝલક આપી બેઠકનો દોર શ્રી ગૌરાંગભાઇને સોંપ્યો.
દરેક સર્જકને પોતાની સર્જન-પ્રક્રિયાની એક ખાસ અનુભૂતિ હોય છે.તેમણે એક વાત ખુબ જ સરસ કહી કે સાહિત્ય-સર્જન માટે જરૂરી છે સંવેદના,સામગ્રી અને સજ્જતા.પોતે કાવ્ય-સર્જનની શરૂઆત કરી તે વખતે જાણીતા કવિવર શ્રી સુરેશ દલાલ સાથેના પ્રોત્સાહક સંસ્મરણોની વાતો કરી, તો વળી કુમારના તંત્રીએ”મૌન”ને સાભાર પરત કરતાં લખેલું કે “મૌન” ની અભિવ્યક્તિ માટે આટલા બધા શબ્દો ?તેની ખુબ રસિક વાતો જણાવી.ત્યારબાદ સ્વરચિત મુક્તકો,કાવ્યો,લયબધ્ધ ગીતોની ધીરે ધીરે રજૂઆત કરી અને ગઝલો ના પ્રવાહમાં સાહિત્યરસિકોને રસ-તરબોળ કરી દીધા,જેના કેટલાંક નમૂના:
- સ્થળ હશે કે જળ હશે,શું હશે ખબર નથી; મૃગજળ હશે કે છળ હશે,શું હશે ખબર નથી……
- શબ્દને ઢંઢોળવાની વાત છે,
જે ક્ષણો બાંધી દીધી’તી હાથમાં,એ હથેળી ખોલવાની વાત છે,
એક સ્વપ્નું રાતભર સળગ્યાં કરે,આંખને ભીંજાવાની વાત છે….. - જીવતર મૃગજળ જેવું છે,કોને કહીએ,મરવાનું તો એવું છે,કોને કહીએ.
એક સૂની સાંજની આ વાત છે,રાત તો પડતી નથી કોને કહીએ….
આમ,નરસિંહરાવ દિવેટીઆના પ્રપૌત્ર જન્મજાત કવિની ભાત પાડી ગયાં..
કાર્યક્રમની મધ્યે, હ્યુસ્ટનના ગાંધીવાદી કાર્યકર શ્રી અતુલ કોઠારીએ તારીખ પાંચ ઓક્ટો.ની ગાંધી જયંતિ-ઉજવણીના કાર્યક્રમ અંગે માહિતી આપી હતી. સર્યૂબેન પરીખ અને વિજય શાહે ‘ચલો ગુજરાત’ના તેમના થયેલા સુખદ અનુભવોની ગૌરવભેર વાતો કરી હતી.
રસિકમેઘાણીનુ કાવ્ય ‘ વિશ્વગુર્જરી’, હેમંત ગજરાવાલાનું માતૃ અંજલિરૂપે લખાયેલ કાવ્ય,રસેશ દલાલનું ‘ લગ્ન એટલે શું ? ‘કાવ્ય, ડલાસથી ખાસ હાજરી આપેલ સંગીતા ધારિયાની સ્વરચનાની ઝલક શ્રોતાઓએ મન ભરીને માણ્યા હતા.તો વળી, ડો. કોકિલાબેન પરીખે પણ 13મી સપ્ટે.ના રોજ ખેલાઇ ગયેલા આઇકના તાંડવ પર દેવિકાબેન લિખિત ગદ્યખંડનો ચિતાર સુંદર રીતે વાંચી સંભળાવ્યો..કાર્યક્રમના આયોજક શ્રી રાહુલ ધ્રુવે લગ્નજીવનના સંભારણા રૂપે ગૌરાંગભાઇ દિવેટીયાએ લખીને ભેટ આપેલ ’તને યાદ છે ?’એવા એક સર્વકાલીન સંવાદની સંયુકત રીતે રસપ્રદ રજૂઆત કરી તેમને આશ્ચર્યચકિત કરી દીધા..
આખા આ કાર્યક્રમને વ્યવસ્થિત રીતે સંભાળવાની કામગીરી વિશ્વદીપ બારડે હળવી રીતે,આનંદપૂર્વક,મસ્તીથી પોતાની થોડી થોડી વાનગીઓ પીરસતા રહીને સરસ રીતે બજાવી.
છેલ્લે પરસ્પર અભારવિધિ અને ભોજન બાદ સાહિત્ય સરિતાની 79મી બેઠક પૂરી થઇ.
Picture Gallary by Satish Parikh