Jul 11 2012
ઉજાણી સાથે સાહિત્યનો લ્હાવો – – ૧૨૧મી બેઠકનો અહેવાલ- નરેન્દ વેદ
હ્યુસ્ટન ગુજરાતી સાહિત્ય સરિતા સાહિત્યની પ્રવૃતી સાથે અવારનવાર અન્ય પ્રવૃતીંમાં ઉજાણી માણવાનો લ્હાવો અનેરો હોય છે. સાહિત્યની રસદાર રચનાઓ સાથે સ્વાદિષ્ટ ત્યાં જ તૈયાર કરેલું ભોજનની મજા કઈ ઓર હોય છે.રવિવાર, એપ્રિલ ૨૯ ને દિને સવારે ૧૧ વાગે કલન પાર્કના એક પેવિલીયનમાં સાહિત્ય સહ ઉજાણીનું આયોજન શ્રી વિશ્વદીપ-રેખા બારડ,ડો.રમેશ-ઈન્દુ શાહ,પ્રશાંત-શૈલા મુન્શા,પ્રવિણાબેન અને દેપક-ગીતા ભટ્ટે કરેલ.૧૧થી ૩ની આ ઉજાણીમાંધીમે ધીમે સાહિત્ય પ્રેમીઓ આવવા લાગ્યા ત્યારે વિશ્વદીપભાઇ તેમની રસોઈમાં પ્રવિણતા એટલે મસાલેદાર “છોલે” બનાવી રહ્યા હતા, તો રમેશભાઇ શાહ ,પ્રશાંત અને અન્ય સભ્યો શાક-ભાજી તૈયાર કરવામાં સહાયરૂપ થઈ રહ્યાં હતા. આજની ઉજાણીની ખરી મજા એ હતી કે સ્ત્રી-વર્ગને સંપૂર્ણ મજા માણવાની અને પુરૂષ વર્ગજ ભોજન તૈયાર કરે.રેખાબેન, શૈલાબેન અને ઇદુબેન શાક, ચારેબાજુ આનંદનું વાતાવરણ સાથે હાસ્યની રેલમછેલ હતી. આ ચારેય યજમાન જોડીઓએ પ્રસંગની જમવાની વ્યવસ્થામાં ક્યાંય કચાશ રાખી નહોતી. ઘણાં સાહિત્યપ્રેમીઓની હાજરી હતી.
સ્નેક્સ(નાસ્તા-પાણીમાં ઘરનો બનાવેલ સાલસા-જુદી જુદી જાતની ચીપ્સની મજા માણ્યા બાદમ જ્યોત્સ્નાબેન વેદે પોતાના કોકિલ કંઠથી ગણપતિની સ્તુતિ ગાઇને કરી. સાહિત્ય સરિતાના સંચાલક શ્રી નરેન્દ્ર વેદે બધા સભ્યોને આવકારી સભા સંચાલનનો દોર ડૉ. ઈન્દુબેન શાહની આપ્યો. ઉજાણીના ઉત્સાહ સાથે બેઠકની શરુઆત એક સાહિત્ય શૈલીમાં સાહિત્યને લગતી રમત ગમતથી થઇ. પ્રવિણાબેન કડકીયાએ આ “ફીશ્બોલ” રમતની ગોઠવણી કરી હતી. જેમાં બધી શિક્ષા ગુજરાતી સાહિત્યને લગતી જ હતી. તેમાં ઈનામની વ્યવસ્થા પણ રાખવામાં આવેલ જેમાં નવા યુવાન સભ્ય ગૌરાંગભાઇ, ગીતાબેન ભટ્ટ વિજ્યી નિવડ્યા હતા.
સમયને અનુસરતા ઈન્દુબેને બેઠકની શરુઆત વડીલ ધીરુભાઇ શાહની રજુઆત કરવા વિનંતી કરી. એમણે પોતાની આગવી અને હળવી શૈલીમાં બે કાવ્યો “ભાગ્યશાળી”, “જિંદગીને વીંધવી પડે છે” અને એક લેખ “માતાઓને કદી જૂઠું બોલવું પડે છે.” નું વાંચન કર્યું. ત્યારબાદ ઇંદુબેન શાહે સ્વયંરચીત “નીજ લીલા” કાવ્યનો આસ્વાદ કરાવ્યો. હેમાબેન પટેલની સુંદર રજૂઆત બાદ શૈલાબેન મુન્શાએ સ્વરચિત કાવ્ય “જાય છે”નું પઠન કર્યું. ગુજરાતી સાહિત્યની સૌ મજા માણી રહ્યાં હતાં, વાતાવરણમાં એક અનોખી સૌરભ હતી, અનુકુળતા હતી. ગૌરાંગભાઇ નાયકે પોતાની ખૂબ જ સંવેદનશીલ રચનાઓ – “ફોન” અને “ભૂલી જવાય” નું ભાવભીની શૈલીમાં રજૂ કરી બધા શ્રોતાઓને ભાવવિભોર કર્યા.
આપણાં એક હાસ્ય કવિ-લેખક શ્રી ફતેઅલ્લી ચતુરે હંમેશ મુજબ હિન્દી ગીતથી બધાનું મનોરંજન કર્યું હતું. હર્ષાબેન શાહે ઘણાં સમયબાદ સાહિત્ય સરિતાની બેઠકમાં ઉપસ્થિત થયાં હતાં પણ તેમની પોતાની આગવી શૈલીમાં તેમણે પોતાની અમદાવાદની મુલાકાત દરમ્યાન પિતાશ્રીના અંતીમ દિવસોમાં ઉદ્ભભવેલ લાગણીઓ અને નાજુક અવલોકનોથી રચિત કાવ્ય રજૂ કરી સૌને ભાવ-વિભોર કરી દીધા. એક આગવી છટાં અને શૈલીના કવિ અશોક્ભાઇ પટેલે સૌને એક અનેરા રંગમાં લાવી દીધા. સાહિત્ય સરિતાના સંચાલકશ્રી નરેન્દ્રભાઇ વેદે યુવાન કવિ મેહુલ શાહની બે કૃતિઓ – “પણ હોઈ શકે!” અને “શક્યતાનું ઢાંકણ” રજૂ કર્યા.
અંતમાં વિનોદભાઇ પટેલે પોતાની તળપદી ભાષામાં રચેલ “એક્સો ને એક… વિસમી” કૃતિ (સૌને યાદ રહે આ ૧૨૧મી બેઠક હતી!) પોતાની આગવી શૈલીમાં રજૂ કરી હતી જેમા રહેલ વ્યંગને સૌએ ખેલદિલીથી આવકાર્યો. ત્યારબાદ સાહિત્ય સરિતાના પ્રમુખ વિશ્વદીપભાઈ સભા સંબોધનની વિનંતી થતાં તેમણે બધાં આગંતુકો તથા આયોજકો અને સ્વયંસેવકોનો આભાર માન્યો હતો. ત્યારબાદ પોતાના ટુંકી વાર્તા લેખનના અનુભવોને ધ્યાનમાં રાખી બધા સભ્યોને લેખનકાર્ય માટે પ્રેરવા સુચનો કર્યા જેમાં તેમણે દરેક નવા લેખકોએ સાદી તથા સચોટ શૈલીમાં લેખન કાર્ય કરવું જોઈએ. આ માટે ઉદાહરણ આપતાં તેમણે કહ્યું કે ગુજરાતી સાહિત્યના મુર્ધન્ય કવિ ઉમાશંકર જોષીની રચનાઓ સાહિત્ય ક્ષેત્રે શ્રેષ્ઠ હોવા છતાં લોકજીભે નામ અલ્પ લેવાઈ છે આ વાત સૌ નવા લેખકોએ ધ્યાનમા રહે.શ્રી ધીરૂભાઈએ ૭૫ વર્ષબાદ સાહિત્યની યાત્રા આરંભી અને શાદી શૈલી અપનાવીને ચાર ચાર પુસ્તોકો પ્રકાશીત કર્યાનો દાખલો આપેલ.
આ સુચનો બધાને ગળે ઉતરે તેવા ન હતા અને વિવાદાસ્પદ બની રહ્યા હતા. ઘણા સભ્યોનું માનવું હતું કે લેખનમાં “લોકભોગ્યતા” જો આગળ રખાય તો નવીનતા, પ્રયોગશીલતા, સહજતા અને સત્યતત્ત્વનો ભોગ આપવો પડે જે સત્યપ્રિય અને પ્રયોગશીલ કૃતિકારની અભિવ્યક્તિને રુંધી નાખે. અંતમાં ગરમા-ગરમા છોલે-પુરી, પુલાવ,સંભાર અને મોતીચુર લાડુની રસદાર મજા માણી બપોરે ૩ વાગે છૂટા પડ્યા.
એક નાનું કુટુંબની જેમ પ્રસંગનું આયોજન ખૂબ જ સફ્ળ રહ્યું. આનો યશ યજમાનોની મહેનત અને સભ્યોની સુંદર રજૂઆતને ફાળે જાય છે.
–
સંકલનઃ વિશ્વદીપ