Oct 22 2008
ઓક્ટોબેર મહિના(૨૦૦૮)ની બેઠકનો અહેવાલ-શૈલા મુન્શા
ગુજરાતી સાહિત્ય સરિતાની ૮૦મી બેઠકનુ આયોજન શ્રી જયંતભાઈઅને સ્મીતાબેન પટેલને ત્યાં કરવામા આવ્યું હ્તું. બેઠકનો વિષય “પાનખર” હતો અને સભાનુ સંચાલન શ્રી રસેસભાઈ દલાલે કર્યું હતું. સભાની શરુઆત રેખાબેન બારડે પ્રાર્થના થી કરી.
સૌ પ્રથમ વક્તા હાસ્ય લેખક શ્રી ચીમનભાઈ પટેલે પાનખરને જનમ મરણ સાથે સરખાવી સુંદર અને ગંભીર કાવ્ય રજુ કર્યું. બેઠકમાં સાહિત્યનો રંગ ભરવા રસેશભાઇ દલાલ દરેક વખતે સુંદર મુક્તક અથવા શેર કહીને વાતાવરણને હળવાશ ભર્યું રાખતા હતા. સદાબહાર કવિ શ્રી વિશ્વદિપભાઈ બારડે પાનખરને પરિવર્તન તરીકે વર્ણવી અને તેને વગોવો તો દિલને ઠેશ લાગવાની વાત કરી.
પરિવર્તન ગમે , ભલેને જિંદગી રોજ બદલતી લાગે,
પાનખરને વગોવું તો અમારા દીલને ઠેસ લાગે.
પ્રશાન્તભાઇ મુન્શાએ તેમના પ્રિય હઝલકાર ડો. આદમ ટંકારવીનુ કાવ્ય “લાગણી એનઆરઆઈ છે” રજુ કર્યુ.. એસોસીયેટેડ કો ઓર્ડીનેટર અને કૌદરત્ની ચાહક કવિયત્રી દેવિકાબેન ધ્રુવે પાનખરનુ વર્ણન, પાનખરનો અર્થ, અને પાનખરની પ્રક્રિયાને મુક્તકમા સમાવી દીધુ અને તેમની અદભુત શબ્દારંભે અક્ષર એક ની શ્રેણીનું “પ” પરનુ કાવ્ય રજુ કર્યું.
પહેરી પાયલ પનઘટ પર, પનિહારી પલકે પાંપણ પલ પલ
પહોરે પોકારે પ્રીતમ પ્રીતમ,પહેરી પટકૂળ પીળું પીતાંબર
લીંબડી ગામેથી આવેલ મહેમાન ડો.જનકભાઇ શાહ જે ત્યાં અંગ્રેજી ભાષાના શિક્ષક હતા એમણે એમના વાર્તાસંગ્રહ “ડોકિયું” માંથી બેત્રણ અનુવાદીત વાર્તા સંભળાવી. રસેસભાઈએ ગની દહીંવાળાનો સુંદર શેર સંભળાવ્યો. “જિંદગીનો એજ સચેસાચો પડઘો છે ગની, હોય ના વ્યક્તિ અને એનુ નામ બોલાયા કરે.” ત્યાર બાદ પીઢ ગાયક અને કવિ શ્રી સુરેશભાઈ બક્ષીએ સુંદર વાત કરી કે “સાનુકુળ સંજોગો હોય તો વસંત અને પ્રતિકુળ સંજોગો હોયતો પાનખર”. વ્યવસાયે સંન્નિષ્ઠ શીક્ષીકા અને શોખથી કવિયત્રી શૈલાબેન મુન્શાએ પાનખરના પાનની જીવન સાથે સરખામણી કરતા કહ્યું કે “ખરી જાશું પર્ણની જેમ એકદિ, જાળવીને સુંદરતા અને ગરિમા અંતિમ ક્ષણ સુધી.”
કવિ શ્રી વિજયભાઈ શાહે “પાંદડુ તો પીળું જ હતું અને ખરી પડ્યું એમા પાનખરનો શું વાંક?” કાવ્ય દ્વારા માતાના મ્રુત્યુને અને પિતાની એકલતાને સાંત્વન આપવા પ્રયત્ન કર્યૉ અને કુંદનિકા કાપડિયાનુ કાવ્ય ” અમે મનુષ્ય છીએને ભગવાન એટલે કોઈવાર સાવ ભાંગી પડીએ છીએ” રજુ કર્યું.
નીરાબેન શાહે “વર્ષ જતું જાય છે” નુ કાવ્ય રજુ કર્યું. ફતેહઅલીભાઈએ એમની સુંદર શૈલીમા અશોક ચક્રધરનુ વિરપ્પન પરનુ કાવ્ય કૌન બનેગા કરોડપતીની છટામાં રજુ કર્યું. રસિક મેઘાણી એ ઉનકે હોઠો પે હંસી અને ખીજાની બાદ ચમનમા કદી બહાર થશે ગાઈને સંભળાવ્યું. યજમાન શ્રી જયંતભાઈએ “ભર વરસાદે અમે કોરાં રહ્યાં ને કોઇકે છત્રી ધરીને અમે પલળી ગયા” ની વાત કરી. જયંતભાઈ સંગીતના જાણકાર અને ફોટોગ્રાફર છે એને અનુલક્ષીને રસેસભાઈએ “સંગીત એ જીવનનો ધબકાર છે, સંગીત એ પ્રભુ સાથેનો સાદ છે” ની વાત કરી.
મંજુલાબેન પટેલે જયારે પાનખર આવે ત્યારે શું થાય ની સુંદર વાત કરી અને ડો.ભગવાનદાસભાઇ પટેલે જીવન સાતત્ય સતત ચાલ્યાજ કરે છે ની વાત એમની વૈજ્ઞાનિક ભાષામા કરી. અંતમા કવિયત્રી સાથે સહજીવનને કારણે લાગેલ સંગની અસરમાં રાહુલભાઈ ધ્રુવે કવિતાઓ સાંભળીને કવિતા લખવાનુ મન કેમ થયું ની વાત કરીને તેમની શીઘ્ર કવિતા રજુ કરી.
અંતમા રસેસભાઇએ નયન દેસાઇની પંક્તિઓ રજુ કરી “મનગમતી કોઈ પંક્તિ અચાનક જડે, તો થાય છે આવી ગઈ જાગીર હાથમા” આમ સુંદર રીતે સમયસર સાહિત્ય સરિતાની બેઠક પુરી થઈ અને સૌ જયંતભાઈ અને સ્મીતાબેનનુ આતિથ્ય માણી છુટા પડ્યા.