Jun 26 2026
ગુજરાતી સાહિત્ય સરિતાની બેઠક ૨૮૧નો અહેવાલ
ગુજરાતી સાહિત્ય સરિતાની ૨૮૧મી બેઠકનો અહેવાલ
ગુજરાતી સાહિત્ય સરિતા, હ્યુસ્ટનની ૨૮૧મી બેઠક રવિવાર, જૂન ૨૧, ૨૦૨૬ બપોરે ૪:૦૦ થી ૭:૦૦ સુગરલેંડના Clyde and Nancy Jacks Conference Center ખાતે યોજવામાં આવી હતી. બેઠકનો વિષય હતો વ્યક્તિવિશેષ કે જેમને સમાજે “પિતા” તરીકે સન્માન્યા હોય. દા. ત. સંસ્કૃત વ્યાકરણના પિતા- પાણિનિ, રાષ્ટ્રપિતા, ગુજરાતી ગદ્ય ના પિતા- કવિ નર્મદ, ઉડાન વિદ્યાના પિતા- રાઈટ બંધુઓ વગેરે અને તેમની સફર.
ચા-નાસ્તા બાદ કાર્યક્રમનો આરંભ શ્વેતાબહેન શ્રોફના કંઠે સરસ્વતી વંદનાથી થયો.
ત્યારબાદ, પ્રો. ઓમપ્રકાશ ગુપ્તાએ આદિ કવિ વાલ્મીકિ પર તેમનુ વક્તવ્ય પિતૃવંદનાથી પ્રારંભ કર્યુ. વાલ્મીકિએ પ્રથમ શ્લોકની રચના પારધીએ કરેલા ક્રીડામય કૌંચપક્ષીના વધથી ઉદ્ભવેલા શોકને કારણે કરી, તેની રચના અનુષ્ટુપ છંદમાં થઈ. તેમણે જણાવ્યું કે બ્રહ્માએ તેમને રામાયણ રચવાનો આદેશ આપ્યો.
ત્યારબાદ રિદ્ધિ દેસાઈએ ઉખાણા સાથે હરીયાળી ક્રાંતિના જનક શ્રી એમ. એસ. સ્વમિનાથન વિષે ખૂબ રસપ્રદ માહિતિ આપી. એમ. એસ. સ્વમિનાથનનુ નામ TIME મેગેઝીનના ૨૦મી સદીના જગતના ૧૦૦ સૌથી વધારે અસરકારક મહાનુભાવોના નામોમાં સમાવિષ્ટ છે. તેમના અથાગ પ્રયત્નોથી ૧૯૭૧માં ભારત અન્નક્ષેત્રે સ્વાયત્ત બન્યું. પદ્મશ્રી, પદ્મભૂષણ, પદ્મવિભૂષણ અને ભારતરત્નનો ખિતાબ જીતનાર કૃષિશાસ્ત્રી વિષે આપણે જાણતા નથી તે અંગે ખેદ પણ વ્યક્ત કર્યો.
શ્રી અરવિંદ થેકડીએ ભારતના અણુવિજ્ઞાનના વિકાસની ખૂબ માહિતિસભર વાતો કરી. આ પ્રોજેક્ટ પાછળ રહેલા ૫માંથી ૪ દિગ્ગજો ગુજરાતી હતાં. શ્રી વિવેકાનંદની પ્રેરણાથી શરુ કરનાર જમશેદજી તાતા પછી હોમી ભાભા, સી.વી.રામન, વિક્રમ સારાભાઈ અને હોમી શેઠનાના પ્રદાન વિષે રસપ્રદ માહિતિ આપી.
શ્રી નિતીનભાઈએ પોતાની ટેનીસની રમત સાથેની સફર રમૂજીભરી રીતે રજૂ કરી બધાને હળવા કરી દીધાં.
શ્વેતાબહેન શ્રોફે શ્રી વિક્રમ સારાભાઈના ટૂંકા પરંતુ વિવિધલક્ષી પ્રવૃત્તિસભર જીવન પર વિસ્તારપૂર્વક વાતો કરી.
આ પછી ભારતીબહેન મજુમદારે તેમના પિતા વિષે જણાવતાં કહ્યું કે તેઓ ઉત્તમ શિક્ષક હોવા ઉપરાંત ઉત્તમ મનુષ્ય હતાં જેમણે ગીતાનો સાર જીવનમા ઉતાર્યો હતો.
ત્યારબાદ શ્રી ફતેહ અલી ચતુરે તેમની લાક્ષણિક શૈલીમાં બોલીવૂડના પિતા દાદાસાહેબ ફાળકે વિષે, તેમની મૂંગી ફિલ્મોના યુગ વિષે વાતો પીરસી,
નિખિલભાઈ મહેતાએ સંતાનોને કેવો વારસો આપવો તે વિષે Maude Parker ની અંગ્રેજી કવિતા “I Do Hereby Bequeath”નો ભાવાનુવાદ સંભળાવ્યો.
આ વક્તવ્યો દરમ્યાન અનેક શ્રોતાઓએ પોતાના પ્રશ્નો, ટિપ્પણી અને મીઠા સંભારણાથી સભાને આદાનપ્રદાનમય બનાવી અને સહુનો ઉત્સાહ વધાર્યો.
કાર્યક્રમના સમાપન સમયે રિધ્ધિબહેન દેસાઈએ દરેક રજૂઆતકર્તાનો આભાર માન્યો હતો. ઉપરાંત સાંજના જમણના અજ્ઞાત પ્રાયોજકનો અનુદાન માટે, શ્વેતાબહેન શ્રોફનો પ્રાર્થના માટે, City of Sugar Landનો હોલ માટે, તથા અન્ય સ્વયંસેવકોનો એમની સેવાઓ માટે આભાર માન્યો હતો.
લેખનઃ રિદ્ધિ દેસાઈ












