Apr 02 2022
માર્ચ,૨૦૨૨ઃ બેઠક ક્રમાંક 230ઃ અહેવાલ શ્રી નિખિલ મહેતા
ગુજરાતી સાહિત્ય સરિતાની બેઠક ક્રમાંક ૨૩૦ નો અહેવાલ : શ્રી નિખિલ મહેતા
(ટાઈપીંગ સહાયઃ પ્રકાશ મજમુદાર)
તા. માર્ચ ૨૭, ૨૦૨૨ના રોજ, સુગર લેન્ડ, ટેક્સાસના લોસ્ટ ક્રીક પાર્કના હૉલમાં સાહિત્ય સરિતાની ૨૩૦મી બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આશરે ૪૦ -૪૫ જેટલા સભ્યોની હાજરી રહી હતી.
પ્રારંભમાં ચા–પાણી અને મિલન પછી બરાબર ૨ઃ૧૫ વાગ્યે પ્રમુખશ્રી ભારતીબહેન મજમુદારે બધાનું સ્વાગત કરી સભાની શરૂઆત કરી.
સૌ પ્રથમ શ્રીમતી ભાવનાબહેન દેસાઈએ સરસ્વતીની પ્રાર્થના પોતાના સુમધુર સ્વરે કરી. ત્યાર બાદ પ્રમુખશ્રીએ થોડાં બેઠક માટેનાં જરૂરી સૂચનો કર્યા અને હૉલ બુક કરાવવા માટે શ્રી સતીશભાઈનો અને એક અનામી ડોનરનો ડોનેશન બદલ આભાર વ્યક્ત કર્યો.
તે પછી એક પછી એક સભ્યોએ પોતાની લખેલી અથવા તો મનગમતી કૃતિઓ અથવા જે લેખક–કવિઓની જન્મતિથિ અથવા તો પૂણ્યતિથિ માર્ચ મહિનામાં આવે છે તેમનો ટૂંક પરિચય અને કૃતિઓ રજૂ કરી.
સૌ પ્રથમ શ્રી જનાર્દનભાઈ શાસ્ત્રીએ જીવનનાં ત્રણ પાસાંની ઝાંખી કરાવતી સ્વરચિત કૃતિ “કેવી મજાની હોળી બાળપણની” રજૂ કરી. પછી શ્રી સતીશભાઈ પરીખે માર્ચ–એપ્રિલમાં અમેરિકાની ટેક્ષ સીઝન નિમિત્તે ડો. નિમિત્ત ઓઝાની “મારે પણ એક વાર રિટર્ન ફાઈલ કરવું છે” તે રચના રજૂ કરી સભ્યોને ભાવવિભોર કરી દીધા, જેમાં દોસ્ત નામે સંપત્તિ હોય તેનું રિટર્ન ફાઈલ કરવાની વાત મઝાની રીતે વર્ણવી છે.
ત્યારબાદ માજી પ્રમુખ શ્રી ચારુબહેન વ્યાસે પોતાની સ્વરચિત કવિતા “બહુ ખેલ ખેલ્યા જીંદગીમાં” રજૂ કરી. પછી શ્રીમતી મોનીકાબહેને ઝવેરચંદ મેઘાણીનો ટૂંક પરિચય આપ્યો અને મેઘાણી સાહેબની કવિતાઓ વાંચી સંભળાવી.
શ્રી પ્રકાશભાઈ મજમુદાર અને શ્રીમતી મીનાબહેન પારેખે લેખક અને કવિશ્રી ઝવેરચંદ મેઘાણીની અમર કૃતિ “મને લાગ્યો કસુંબીનો રંગ” ગાઈને હાજર રહેલા સભ્યોને રસતરબોળ કરી દીધાં અને સભ્યોએ તેમાં સૂર પણ પૂરાવ્યો અને વાતાવરણ સંગીતમય બની ગયું. ત્યારબાદ, શ્રી નિખિલભાઈ મહેતાએ શ્રી બાલશંકર કંથારિયાની અમર ગઝલ “ગુજારે જે શિરે તારે” જે તેમના પિતાશ્રીને યાદ કરી ટૂંક પરિચય આપી રજૂ કરી. પછી આવ્યા શ્રીમતી ભાવનાબહેન દેસાઈ, જેમણે કવિવર–લેખક તથા અનુવાદક શ્રી ન્હાનાલાલ દલસુખરામ કવિ જેઓ પંડિત યુગમાં થઈ ગયા, એમનો ટૂંક પરિચય આપ્યો અને સાથે સાથે તેમની કવિતાઓની થોડી પંક્તિઓ ગાઈને પણ સંભળાવી.
પછી આવ્યાં શ્રીમતી ભારતીબહેન મજમુદાર, જેમણે “સુન્દરમ” ત્રિભોવનદાસ પુરુષોત્તમદાસ લુહારનો ટૂંક પરિચય આપ્યો ( જન્મ દિવસ ૨૨ માર્ચ ૧૯૦૮), અને જણાવ્યું કે તેઓને ઘણા પારિતોષિકથી સન્માનવામાં આવ્યા છે. ૧૯૩૪માં એમની કૃતિ “કાવ્ય મંગલ” માટે રણજીતરાય સુવર્ણચંદ્રક અને ૧૯૮૫માં ભારતનો ત્રીજો સર્વોચ્ચ પુરસ્કાર “પદ્મવિભૂષણ” પણ એનાયત થયો હતો
ત્યારબાદ હ્યુસ્ટનના કવયિત્રી શ્રીમતી દેવિકાબહેન ધ્રુવને આમંત્રિત કર્યા. તેમણે તાજેતરમાં કેલિફોર્નિયા ખાતે થયેલ જૂઈ મેળાની વાત કરી. એમાં રેકોર્ડેડ વિડીઓ દ્વારા રજૂ કરેલી બે કવિતાની પંક્તિઓ સંભળાવી. એ પછી વસંતના વધામણા કરતી પંક્તિઓ રજૂ કરી, કવિ શ્રી સુંદરમને અને ગઝલ ગઢના મોભી શ્રી ચિનુ મોદીને યાદ કર્યાં. બંને કવિની કવિતાઓની થોડી પંક્તિ અને શેર સંભળાવ્યા. તે ઉપરાંત તેમણે વિશ્વ રંગમંચ દિવસ હોવાથી “તખ્તા પર” ની સ્વરચિત ગઝલ પ્રસ્તુત કરી. તે ઉપરાંત, હવે પછીની બેઠકોમાં સાહિત્ય સરિતાના જ સભ્યોની ખૂબીઓનું વર્ણન કરવાનું સૂચન આપ્યું , જે સૌ સભ્યોએ વધાવી લીધું.
તે પછી શ્રી નીતિનભાઈ વ્યાસે વેસ્ટ ઇન્ડિઝ ક્રિકેટર, કાલીચરણની વાત કરી અને સભ્યોને એક ગમતું પુસ્તક લઈ તેનું રસદર્શન કરવું જોઈએ એવું સૂચન કર્યું. તેમણે “સેવા ઇન્ટરનેશનલ અને અમેરિકન કોર્પ્સ, હ્યુસ્ટન” સંસ્થાની ડિઝાસ્ટર ટ્રેઇંનિંગ વિશેની વાત કરીને સભ્યોને સક્રિય ભાગ લેવા આમંત્રણ આપ્યું.
શ્રી વિનોદભાઈ પટેલે શ્રોતાઓને વધુ સક્રિય કરવા માટે સાહિત્યની રસપ્રદ પ્રશ્નોત્તરી કરી અને સૌને મઝા કરાવી.
છેલ્લે સાહિત્ય સરિતાના ખજાનચી–સેક્રેટરી શ્રી પ્રફુલભાઇ ગાંધીએ સૌ સભ્યોનો આભાર માન્યો. અને બટાકાવડાં અને ચા–પાણીની મોજ માણી સૌ છૂટાં પડ્યા.
આમ, આ આખીયે બેઠક મઝાની અને યાદગાર બની રહી.
સવિસ્તર,મુદ્દાસર અહેવાલ વાંચતા હાજર રહયાનો અહેસાસ થયો.સમુહ ફોટો દ્વારા સૌને મળ્યા જેવો
આનંદ થયો. આભાર નિખિલભાઈનો અને સરિતાનો.