Mar 08 2022
ગુ.સા.સ. બેઠક નં ૨૨૯ઃ અહેવાલઃ જ્યોતિબહેન વ્યાસ
ગુ.સા.સની બેઠક ક્રમાંક ૨૨૯નો અહેવાલઃ જ્યોતિબહેન વ્યાસ
તા. ૨૭મી ફેબ્રુઆરીના રોજ, હ્યુસ્ટનના Lost Creek Park પાર્કના હોલમાં સાહિત્ય સરિતાની ૨૨૯મી બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.
પ્રારંભમાં મિલન અને અલ્પાહાર પછી બરાબર બે વાગ્યે પ્રમુખશ્રી ભારતીબહેન મજમુદારે બધાનું સ્વાગત કરી સભાની શરૂઆત કરી.
સૌ પ્રથમ શ્રીમતી સુચેતાબહેન શાહે સરસ્વતીની પ્રાર્થના કરી.
ત્યારબાદ, શ્રી નિખિલભાઈના પિતાશ્રી નટવરભાઈના દુઃખદ અવસાન બદલ શોક વ્યક્ત કરી સદ્દગતના આત્માની શાંતિ માટે તથા વિશ્વમાં ચાલી રહેલા યુદ્ધની શાંતિ માટે એક મિનિટનું મૌન પાળ્યું.
પ્રમુખશ્રીએ થોડા સભા માટેનાં જરૂરી સૂચનો કર્યા. શ્રી સતિશભાઈનો મીટિંગ હોલ માટે અને શ્રી મનસુખભાઈનો ડોનેશન બદલ આભાર માન્યો. નવા સભ્યોની ઓળખાણ થાય તે હેતુથી દરેક સભ્યોને વારાફરતી પોતાની ઓળખાણ આપવા આમંત્રિત કર્યા. તે પછી નીચે જણાવ્યા મુજબ બધા સભ્યોએ પોતાની કૃતિઓ રજૂ કરી.
શ્રી જનાર્દનભાઈએ સ્વરચિત કૃતિ વાંચી સંભળાવી. શ્રીમતી ભાવનાબહેને કનૈયાલાલ મુનશી વિષે સરસ માહિતી આપી અને પોતાની કેટલીક ગૌરવભરી સ્મૃતિઓને તાજી કરી. શ્રી પ્રકાશભાઈ મજમુદારે કવિ “મરીઝ”ના જીવન અને વ્યક્તિત્વ વિશે ટૂંકી માહિતી આપી, મરીઝની એક ગઝલ, “જૂઓ શી કલાથી મેં તમને છુપાવ્યા” એમના મધુર સ્વરમાં સંભળાવી.
ત્યાર બાદ શ્રીમતી દેવિકાબહેન ધ્રુવે ફેબ્રુઆરી એટલે પ્રેમનો મહિનો અને વિશ્વમાતૃભાષાદિનનો મહિનો જણાવી કેટલાક સાહિત્યકારોની જન્મતારીખ અને પૂણ્યતિથિનો પણ ઉલ્લેખ કર્યો. શ્રી જવાહર બક્ષીના શેર રજૂ કર્યા અને માતૃભાષા વિશે સ્વરચિત પંક્તિઓ પણ સંભળાવી કેઃ ધન્ય ગિરા ગુજરાતી.
હેમચંદ્રથી નરસિંહ, શામળ, નર્મદ, મુનશી રવાની,
રંગ કસુંબલ મેઘાણીની કવન કડી રળિયાતી……..ધન્ય ગિરા ગુજરાતી.
ગળથૂથીમાં અમીરસ બનીને, દેતી જે રંગતાળી,
પોત મહીં મુજ શ્વાસ શ્વાસમાં સૌરભ જેની સમાતી……ધન્ય ગિરા ગુજરાતી.
એ પછી આજની સભાના ખાસ મહેમાન વક્તા શ્રી ચંદ્રકાન્તભાઈ સંઘવીનું સ્વાગત કરી એમની ઓળખાણ આપી.
મૂળ અમરેલીના પણ મુંબઈના વતની અને હાલ અમેરિકાના મુલાકાતી ચંદ્રકાંતભાઈના એક પુસ્તક ” લ્યો હવે છલિયાં ભરો” નું વિમોચન કર્યું. દેવિકાબહેને એ પુસ્તક વિશે ઘણી માહિતી આપી. ચંદ્રકાંતભાઈની લખવાની તળપદી શૈલી વિષે વાત કરી. તે પછી શ્રી ચંદ્રકાન્તભાઈએ પણ અમરેલીના કવિ શ્રી રમેશ પારેખ સાથેના સુખદ સંસ્મરણો સાથે આ નવા પુસ્તકમાંથી થોડી કવિતાઓ સંભળાવી. વિમોચનની પૂર્ણાહુતિ પછી સભ્યોમાંથી વક્તાઓનો દોર ફરીથી આગળ વધ્યો.
તે પછી હ્યુસ્ટનની ‘કલાકુંજ’ સંસ્થાના આગામી કાર્યંક્રમ અંગે શ્રી રસેશ દલાલ અને શ્રી મુકુંદભાઈ ગાંધીએ માહિતી આપી. શ્રીમતી મીનાબહેને શ્રી બાલમુકુંદ દવેના કાવ્યો વિષે વાત કરી અને એમની એક કવિતા વાંચી સંભળાવી.
ત્યાર પછી શ્રીમતી સુચિતાબહેન શાહે સરોજિની નાયડુ વિષે રસપ્રદ વાતો કરી. શ્રીમતી ઇન્દુબેન શાહે કવિ “મરીઝ” વિષે અને શ્રીમતી મોનીકા પટેલે જૂના મહાન કવિઓની યાદો સાથે “અખાના છપ્પા” સંભળાવ્યા. શ્રી નુરુદ્દીન દરેડીયાએ પોતાના વિચારો રજૂ કર્યા અને સંસ્થાના પાયાના સભ્ય શ્રી દીપકભાઈ ભટ્ટે પણ વિષયને અનુરૂપ ક.મા.મુનશી અંગે બે શબ્દો કહ્યા.
છેલ્લે, પ્રમુખશ્રીએ બધાનો ફરીથી આભાર પ્રગટ કર્યો અને આવો જ સાથ, સહકાર અને પ્રોત્સાહન આપશો એવી આશા સાથે સભાની સમાપ્તિ કરી.
એકંદરે આ બેઠક રસપ્રદ રહી. ખાસ તો દરેક સભ્યો, વિષયને અનુરૂપ પૂર્વતૈયારી કરીને આવ્યા હતા અને તેમના વક્તવ્યમાં સાહિત્યિક રસ ભારોભાર છલકાતો હતો તે નોંધપાત્ર અને પ્રશંસનીય રહ્યું. આયોજન માટે સમિતિના સભ્યોને અને સહાયકોને ધન્યવાદ.
-શ્રીમતી જ્યોતિબેન વ્યાસ
ઉપ પ્રમુખ
ખુબ સુંદર અને વિગતવાર અહેવાલ બદલ આભાર, જ્યોતિબહેન. બધા સભ્યો અને વક્તાઓનો પણ ખૂબ ખૂબ આભાર. દેવિકાબહેન તમારી આગવી શૈલીમાં લખેલી સ્વરચના સરસ રહી અને સુંદર રીતે ” લ્યો હવે છલિયાં ભરો ” પુસ્તકનું વિમોચન કરવા બદલ આભાર. શ્રી. ચંદ્રકાન્તભાઈને સાંભળવાની પણ મઝા આવી.
ટૂંકમાં આખી બેઠક ઘણી રસપ્રદ રહી.