Jun 22 2022
બેઠક નં. ૨૩૩નો અહેવાલ જૂન ૨૦૨૨
ગુજરાતી સાહિત્ય સરિતા, હ્યુસ્ટનની બેઠક નં ૨૩૩ નો અહેવાલ
જૂન ૧૨, ૨૦૨૨ના રોજ ગુજરાતી સાહિત્ય સરિતા, હ્યુસ્ટનની બેઠક નં ૨૩૩નો એક સુંદર કાર્યક્રમ, ISSO સ્વામિનારાયણ મંદિરમાં યોજાયો. આ વખતે મુખ્ય મહેમાન તરીકે ભારતથી પધારેલ કવિ, સંગીતકાર તથા ગાયક શ્રી હરીશભાઈ જોશી હતા.
બપોરના ૧ વાગે સંસ્થાના હાલના પ્રમુખ શ્રીમતી ભારતીબહેને બધાનું સ્વાગત કર્યું. ઉપપ્રમુખ શ્રીમતી જ્યોતિબહેન વ્યાસે એમની આગેવાની હેઠળ બધાની સાથે સુંદર પ્રાર્થના કરી. ત્યારબાદ સભાની શરૂઆત કરવામાં આવી.
પ્રારંભમાં ભારતીબહેને મુખ્ય મહેમાન શ્રી. હરીશભાઈનું અને તેમના પત્ની શ્રીમતી વીણાબહેન તથા સૌ સભ્યોનું સ્વાગત કરી, ગુજરાતી સાહિત્ય સરિતા, હ્યુસ્ટનની પ્રવૃતિઓ વિષે ટૂંકમાં પરિચય આપ્યો અને સમિતિના સભ્યોની ઓળખાણ પણ કરાવી.
શરૂઆતમાં શ્રીમતી દેવિકાબહેન ધ્રુવને આમંત્રણ આપવામાં આવ્યું. તેમણે સંસ્થાની વિગતોમાં ઉમેરો કરતા જણાવ્યું કે સાહિત્ય સરિતા એ હ્યુસ્ટનના આંગણે ઊભેલો ગુજરાતી ભાષાનો તુલસીક્યારો છે, જેના છોડને છેલ્લાં ૨૦ વર્ષથી સતત લીલોછમ રાખવાના પ્રયાસો થતા રહ્યા છે. તે પછી પોતાની એક ગીતરચના અને બે શેર પ્રસ્તૂત કર્યાં.
તે પછી ભારતીબહેને કાર્યક્રમના સ્પોન્સર શ્રી. હસમુખભાઈ દોશીને નિમંત્રણ આપી, તેમનો આભાર વ્યક્ત કર્યો અને તેમના દ્વારા મહેમાન કવિ શ્રી હરીશભાઈને શાલ ઓઢાડી બહુમાન કરાવ્યું. ત્યારબાદ મહેમાનનાં યજમાન શ્રીમતી દત્તાબહેને આદરણીય હરીશભાઈનો પરિચય આપ્યો. શ્રી હરીશભાઈ જોશી એક સારા કવિ, ગાયક અને લેખક પણ છે. તેઓ બોટાદ ગામના ભૂતપૂર્વ અર્થશાસ્ત્રના પ્રોફેસર છે અને છેલ્લા ૪૫ વર્ષથી શ્રી. મોરારીબાપુના સંગીતવૃંદમાં જોડાયેલા છે. તેમના ગુજરાતી હિન્દી આલ્બમ પ્રગટ થયેલા છે.
ત્યારબાદ મુખ્ય મહેમાન શ્રી. હરીશભાઈએ પોતાના વક્તવ્યની શરૂઆત “શ્રીરામ દૂતમ શરણંમ “થી કરી. સાહિત્યપ્રેમીઓ સમક્ષ બોલવાનો અવસર મળ્યાનો આનંદ વ્યકત કર્યો. ગુજરાતી ભાષાનું ગૌરવ અનુભવતા જણાવ્યું કે, માતૃભાષા એ આપણી માતા છે. “મૈત્રીનો ફાગણ”, “ભાઈ વાંધા વચકા નહી સારા”,. “બસ ચાલવું છે”. . “આ અથવા તે”, “કોરે મૂકી થાય તેમ થવા દો” વગેરે ઘણી સુંદર કવિતાઓનું સતત દોઢ કલાક, તેમની આગવી શૈલીમાં પઠન કર્યું.
તેમને થોડો વિરામ આપવા શ્રી. પ્રકાશ મજમુદારે એક જૂનું ફિલ્મી ગીત ‘મુખડા દેખ લે દર્પણમે’ એમના સુંદર અવાજમાં ગાઈ બધાને ખુશ કરી દીધા. શ્રી દિલીપભાઈએ હાર્મોનિયમ ઉપર અને શ્રી. પ્રકાશભાઇ નાયકે તબલા ઉપર સાથ આપ્યો. એ પછી તે જ વાદ્યવૃંદના સાથથી હરીશભાઈએ સુંદર, જાણીતા ભજનો ગાઈ સંભળાવ્યા.
લગભગ ત્રણેક કલાકનો પ્રોગ્રામ હતો પણ સૌ સાહિત્યરસિક સભ્યોએ મંત્રમુગ્ધ થઈને આનંદ માણ્યો.
કાર્યક્રમને અંતે, સેવઉસળ, લાડુ, ગાજરનો હલવો અને ચાનો આનંદ લઈ સૌ છુટાં પડ્યાં. પાંચ દિવસના ટૂંક સમયમાં, અચાનક જ એક સુંદર સભાનું આયોજન થઇ ગયું.
અહેવાલ : ભારતી મજમુદાર
જૂન ૨૨,૨૦૨૨
સરસ અહેવાલ.