Jun 30 2018
ગુજરાતી સાહિત્ય સરિતા બેઠક #૧૮૬નો અહેવાલ
હ્યુસ્ટનની ‘ગુજરાતી સાહિત્ય સરિતા’ની બેઠકનો અહેવાલ…નવીન બેંકર
૨૩ જૂન ૨૦૧૮ ને શનિવારે બપોરે ૧ થી ૪ દરમ્યાન, સુગરલેન્ડના કોમ્યુનિટી સેન્ટરમાં, હ્યુસ્ટનની ગુજરાતી સાહિત્ય સરિતાની ૧૮૬ મી બેઠક યોજાઈ ગઈ.
‘સરિતા’ના પ્રમુખ શ્રી. સતીશ પરીખે સભ્યોનું સ્વાગત કરતું આવકાર પ્રવચન કર્યું હતું. નયનાબેન શાહે સરસ્વતીની પ્રાર્થના કર્યા બાદ, સંસ્થાના ખજાનચી શ્રી. મનસુખ વાઘેલાએ, મુંબઈથી પધારેલા લેખક શ્રી. ચંદ્રકાંતભાઈ સંઘવીનો પરિચય આપ્યો હતો અને તેમને માઈક સોંપી દીધું હતું. લગભગ પંદરેક મીનીટ સુધી શ્રી. સંઘવીએ પોતાના નવા પુસ્તક ‘ઉભો દોરોઃ આડી સોય’માંથી કેટલાક હાસ્યલેખો વાંચી સંભળાવ્યા હતા.
ત્યારબાદ લોકલ સર્જકોએ પોતાની રચનાઓ સંભળાવી હતી. શ્રી. જનાર્દન શાસ્ત્રીએ સ્વરચિત કાવ્ય ‘અભણ મા’ વાંચ્યું હતું. શૈલાબેન મુન્શાએ ‘મિકાઈ’ નામના પોતાની શાળાના દિવ્યાંગ બાળક અંગેના સંસ્મરણો કહી સંભળાવ્યા હતા. પ્રવિણાબેન કડકિયા, ડોક્ટર ઇન્દુબેન શાહે પોતાના પિતા અંગેના સંસ્મરણો રજુ કરીને શ્રોતાઓને ભાવવિભોર બનાવી મૂક્યાં હતાં.. ઇન્દુબેને, સંસ્થાના જૈફ સભ્ય અને હાસ્યલેખક ચીમન પટેલનું એક કાવ્ય વાંચી સંભળાવ્યું હતુ. આ કાવ્ય શ્રી. પટેલે, સંસ્થાના એક સભ્ય શ્રીમતિ રક્ષાબેન વિઠ્ઠલભાઈ પટેલના અમૃતમહોત્સવ પ્રસંગે ૧૬મી જુને , રજુ કરેલ હતું. શ્રી. મનસુખ વાઘેલાએ, ગેરહાજર રહેલા સભ્ય શ્રી. વિજય શાહની તેમના પિતાના સંસ્મરણો અંગેની એક રચના વાંચી સંભળાવી હતી. પ્રશાંત મુન્શાએ અન્ય કવિની રચના વાંચી સંભળાવી હતી.
શ્રી. પ્રદીપ બ્રહ્મભટ્ટ નામના એક સર્જકે, સંસ્થાના પ્રેસિડેન્ટ અને ટ્રેઝરરની પ્રશસ્તિ કરતા બે કાવ્યો રજુ કરીને, ફ્રેમમાં મઢાવીને, તેમને મીટીંગમાં અર્પણ કર્યા હતા.
દેવિકાબેન ધ્રુવે ‘જીન્દગીની સફર’ અંગેનું સ્વરચિત કાવ્ય રજુ કર્યું હતું, સતીશ પરીખે પણ એક કૃતિ રજુ કરી હતી.
કાર્યક્રમના બીજા દૌરમાં એક નાનકડી હાસ્યએકાંકી સ્કીટનું વાંચન કરવામાં આવ્યું હતું. આપણા સ્વ. હાસ્યલેખક શ્રી. વિનોદ ભટ્ટના અવસાન પછી તેમને શોકાંજલિ આપતો એક લેખ શ્રી. રમેશ તન્નાએ પોઝીટીવ મીડીયા પર લખેલો તેના પરથી દેવિકાબેન અને રાહુલ ધ્રુવે નાટ્યરૂપાંતર કર્યું હતું. પાત્રવરણી આ પ્રમાણે કરવામાં આવી હતી. વિનોદ ભટ્ટ તરીકે ડોક્ટર રમેશ શાહ. યમરાજાની પત્ની યમીના પાત્રમાં શ્રીમતિ શૈલા મુન્શા, ચિત્રગુપ્તની પત્ની ચિત્રા તરીકે ડોક્ટર ઇન્દુબેન શાહ, તારક મહેતા તરીકે શ્રી. પ્રશાંત મુન્શા, અને જ્યોતિન્દ્ર દવે તથા બકુલ ત્રિપાઠીની બેવડી ભુમિકામાં શ્રી. નવીન બેન્કર હતા. એકાંકીના સૂત્રધાર તરીકે દેવિકાબેન ધ્રુવે નાટકના ત્રણે દ્રશ્યોની પાર્શ્વભૂમિકા સમજાવી હતી.
માપસરનો અને બધું આવરી લેતો રિપોર્ટ લખવામાં નવિનભાઈની હથોટી છે.