જુલાઈ ૨૦૦૮ ની બેઠક્નો અહેવાલ
Friday, July 18th, 2008ગુજરાતી સાહિત્ય સરિતાની જૂલાઇ મહિનાની બેઠક, 17મી જુલાઇના રોજ સાંજના સમયે “ભોજન” રેસ્ટોરંટમાં યોજવામાં આવી હતી.
બેઠકની શરૂઆતમાં શ્રી ફતેહઅલીભાઇ ચતુરે સભાજનોનું સ્વાગત કર્યું, ફતેહઅલીભાઇ ચતુરે સાહિત્ય સરિતાની આગામી છ માસના કો-ઓર્ડિનેટર તરીકે શ્રી કિરીટભાઇ ભક્તા અને સહાયક કો-ઓર્ડિનેટર તરીકે દેવિકાબેન ધ્રુવની નિયુક્તિ સર્વાનુમતે જાહેર કરી.
હ્યુસ્ટનના એક નામી સર્જક ‘સૂફી’ શ્રી મહંમદ અલી પરમારના જૂલાઇ 11 ના રોજ થયેલાં દુ:ખદ નિધન અંગે મૌન પાળવામાં આવ્યું.

સદગતનાં આધ્યાત્મિક સર્જન “આધ્યાત્મિક કાવ્યો” અને તેમનો બ્લોગ http://mohmadparmar.gujaratisahityasarita.org/ ની મુલાકાત લેવાનુ સુચવાયુ.તેમનુ એક કાવ્ય પણ વંચાયુ
કલમ પકડું છું ત્યારે પ્રેરણા માગું છું ઈશ્વર થી
સૂફી સંતો ક્યાં દુનિયાની નિશાળોમાં ભણેલા છે
સાહિત્ય-સરિતાની કેટલીક જરૂરી વાતો અને જાહેરાતો કરી બેઠકનું સૂકાન શ્રીમતિ સર્યુબેન પરીખને સોંપ્યુ.
વિશાલ મોણપરાનું સન્માન
આ બેઠકની યોજના મુખ્યત્વે,ગુજરાતીઓને કોમ્પુટરમાં ગુજરાતી કીપેડ લાવી આપનાર, ખ્યાતનામ નવયુવાન શ્રી વિશાલ મોનપરાને સન્માન આપવા અંગે કરવામાં આવી હતી.આ ઉપરાંત,”સોનામાં સુગંધ ભળે” તેમ તાજેતરમાં તેમના લગ્ન થયાં હોવાથી તેમની જીવન-સંગિની નયના સહ સત્કારનો પણ હેતુ સમાયેલો હતો.. આમ વિષય બની ગયો “સ્નેહભાવ સન્માન”.
રાબેતા મુજબ પ્રારંભમાં પ્રાર્થના કરવામાં આવી.ત્યારપછી સૌથી પ્રથમ વિવિધ સર્જકોએ પોતપોતાની કૃતિઓને વાંચી સંભળાવવાની શરુઆત કરી. શ્રી દરેડિયાએ સુંદરમ ની પ્રભુપ્રેમની રચના,છણાવટ સહિત રજૂ કરી.તે પછી માનનીય શ્રી ધીરુભાઇ શાહ,ફતેહઅલી ચતુર,દેવિકાબેન ધ્રુવ,સર્યુબેન પરીખ,રસિકભાઇ મેઘાણી,રસેશભાઇ દલાલ,વિજયભાઇ શાહ અને પ્રદીપભાઇએ પોતપોતાની રીતે રજૂઆત કરી,વિશાલ મોણપરાને જુદી જુદી રીતે સન્માન્યાં અને શુભેચ્છાઓ વ્યક્ત કરી. સાહિત્ય સરિતાના પરિવારમાં, સાત વર્ષમાં આ પહેલો માંગલિક પ્રસંગ હોઇ, સૌએ સાથે મળીને મંગળાષ્ટક ગાઇ, “કુર્યાત સદા મંગલમ “ ની વર્ષા વરસાવી,નવદંપતિને આશીર્વાદ પાઠવ્યાં. ભાઇ શ્રી પ્રદીપભાઇએ ભાવભેર પોતાની કૃતિ વાંચી, ફ્રેઇમમાં મઢી, વિશાલ-નયનાને સપ્રેમ ભેટ આપી.

બેઠકનો પૂર્વાર્ધ આ રીતે પૂરો થયા પછી,શ્રી વિશાલને સભાનો દોર સોંપવામાં આવ્યો.તેમણે શરૂઆત કરી પ્રેમની ગઝલથી…! તે પછી વિરહની શાયરી,ધૂળેટીનો રંગ,મિત્રો વિશે અહોભાવ,જીવનનો ધ્યેય વગેરે વિષયોને સંક્ષેપમાં સમાવી લીધા.આઇટી ક્ષેત્રે સિધ્ધિઓ પ્રાપ્ત કરનાર આ સીધા,સાદા,નમ્ર અને પ્રેમાળ નવયુવાનની કલમ પણ કેવી નોખી છે ? એની કેટલીક ઝલક જુઓ :
”તલવારની ધારને કટારની પડી નથી,
આકાશને આધારની પડી નથી,
ધ્યેય છે એક જ આગળ ધપવાનુ,
પાણીને આકારની પડી નથી”..
તો વળી ક્યાંક મિત્રોને બિરદાવતા કહે છે કે,
એક વેલાને અડીખમ વૃક્ષોના સહારા મળ્યાંછે,
ભર મઝ્ધારે કિનારા મળ્યા છે,
જીતની કેડી પર વણઝારા મળ્યાં છે,
મને તમ જેવા સિતારા મળ્યાં છે…
વગેરે ઘણી ગૌરવભરી તેમની કલમ ચાલે છે. ખરેખર,આઇ ટી જગતના આકાશમાં ઉડ્ડ્યન કરતાં તેમની સફળતાઓને બિરદાવતાં એમ કહેવું પડે કે, વિશાલ હ્યુસ્ટનની શાન છે અને ગુજરાતી સાહિત્ય સરિતાનું અભિમાન છે નયના મોણપરાએ પણ, આગ્રહવશ થઇ, પ્રેમગીતની બે પંક્તિ ગાઇ, તેમના સંગીત-પ્રેમની ઝલક આપી.
છેલ્લે, કાંતિભાઇએ લાયબ્રેરીના પૂસ્તકોની વ્યવસ્થા અંગે તથા વિજય શાહ સર્જિત “પૂ.મોટાભાઇ” ની ડીવીડીની ઉપલબ્ધિ અંગેની માહિતી આપી; વિનોદ પટેલે હવે પછી યોજાનાર અજંટા-ઇલોરાના ચિત્રો વિશે થનાર ચિત્ર પ્રદર્શન્ અને તે પરની કવિતાઓનો પ્રસ્તાવ રજૂ કર્યો; વિજય શાહે ન્યુજર્સીમાં યોજાનાર ‘ચાલો ગુજરાત’માં ગુજરાતી સાહિત્ય સરિતાને મળેલાં આમંત્રણ વિષે વાત કરી;
છેલ્લે, પરસ્પર આભારવિધિ પછી સભાની સમાપ્તિ થઇ.
દેવિકાબેન ધ્રુવ.

