Aug 03 2018
ગુજરાતી સાહિત્ય સરિતા બેઠક #૧૮૭-અહેવાલ
ગુજરાતી સાહિત્ય સરિતા,હ્યુસ્ટનની ૧૮૭ મી બેઠકનો અહેવાલ––શ્રી. નવીન બેન્કર-
હ્યુસ્ટનની ગુજરાતી સાહિત્ય સરિતાની ૧૮૭મી બેઠક, સુગરલેન્ડના રીક્રીએશન સેન્ટરના હોલમાં, તારીખ ૨૯ જુલાઈ ૨૦૧૮ની બપોરે ૧ થી ૪ દરમ્યાન યોજવામાં આવી હતી.
શરૂઆતમાં જ આગંતુક સાહિત્ય રસિકોનું (સભ્ય અને શ્રોતાઓને) ગુલાબજાંબુ અને પાઉંભાજીનો નાસ્તો આપીને સ્વાગત કરવામાં આવ્યું હતું અને પછી ૧.૪૦ મીનીટે શ્રીમતિ નયનાબેન શાહની પ્રાર્થનાથી શરૂઆત કરવામાં આવી હતી.
સંસ્થાના પ્રમુખ શ્રી. સતીશભાઇ પરીખે આવકાર પ્રવચન કરતાં, ૧૫મી સપ્ટેમ્બરે યોજાનાર ગુજરાતના બબ્બે મહાન કવિ, લેખક અને નાટ્યકારો એવા શ્રી. સિતાંશુ યશશ્ચન્દ્ર અને મુકેશ જોશી, સંસ્થાના આમંત્રણથી હ્યુસ્ટનમાં પધારવાના છે એની જાહેરાત કરી હતી.
શ્રી. નવીન બેન્કરે, આ બન્ને સર્જકોની રચનાઓ અને સાહિત્યિક કારકિર્દીનો ટૂંકો પરિચય આપ્યો હતો.
આજના કાર્યક્રમના સૂત્રધાર હતા- ‘ગુજરાત ગૌરવ’ માસિકના તંત્રી શ્રી. નુરૂદ્દીન દરેડિયા. શ્રી. દરેડિયા છેલ્લા દસેક વર્ષોથી, દર મહિને, સ્વખર્ચે ૪૮ પાનાનું એક માસિક ગુજરાતી ભાષામાં નિઃશુલ્ક પ્રગટ કરીને ગુજરાતી જનતામાં વહેંચે છે. સાહિત્ય સરિતાના અહેવાલો અને ફોટાઓ પણ દરેક અંકમાં છાપે છે અને લગભગ ૭૫+ ની ઉંમરે જાડા થેલામાં ઉંચકીને, સિનિયર સિટીઝન્સ અને સાહિત્ય સરિતા જેવી સંસ્થાઓ તેમજ ગ્રોસરી સ્ટોરો પર જઈને, ગુજરાતી જનતાને પહોંચાડવાની સેવા આપી રહ્યા છે. ‘સરિતા’ની દરેક મીટીંગમાં એમની હાજરી અચૂક હોય અને વોટ્સેપમાંથી જડેલું કે ઈ-મેઇલમાં આવેલું સાહિત્ય રજૂ કરે. ગીતોના કાર્યક્રમમાં, પબ્લીક સમક્ષ ડાન્સ પણ કરે.
શ્રી. દરેડિયાએ સૌ પ્રથમ કાવ્યપઠન માટે, શ્રી. ફતેહ અલી ચતુરને આમંત્રણ આપ્યું. શ્રી. ફતેહ અલી ચતુર, હિન્દી કવિ ચક્રધરના હાસ્ય-વ્યંગ ના કાવ્યોની કુશળ રજૂઆત માટે જાણીતા છે. આ વખતે એમણે, કવિશ્રી. જગદીશ જોશીની એક યુનિક ગીત ‘ધારો કે એક સાંજ આપણે મળ્યાંઅને આપણે હળ્યાં પણ આખા આ આયખાનું શું ?’ રજૂ કરી. સાથેસાથે,પોતે એની પાદપૂર્તી કરતા હોય તેમ, સ્વરચિત પંક્તિઓ પણ ઉમેરીને,ગીતને ચાર ચાંદ લગાવી દીધા. ‘ધારો કે આમ થયું ને તેમ થયું અને પછી વેરવિખેર સ્વપનાઓનું શું, સંબંધો તૂટ્યાનું શું, યૌવનની આકાંક્ષાઓનું શું, એકલતાનું શું જેવા પ્રાસ મેળવેલી પંક્તિઓ પર શ્રોતાઓ ઝુમી ઉઠયા હતા.
બીજા વક્તા હતા- મુક્તકોના મહારાજા અને ગની દહીંવાલાના આશિક એવા શ્રી. સુરેશ બક્ષી. ‘કપરા સંજોગોમાં હસી જાણે તો જાણું’ સ્વરચિત કાવ્ય રજુ કર્યા બાદ, તેમણે શ્રી. વિવેક ટેલરની એક કૃતિની પેરોડી પ્રસ્તુત કરી હતી.
સૂત્રધાર શ્રી. નુરૂદીન દરેડિયાએ રજૂ કરવામાં આવેલી દરેક રચના પર વિવિધ સાહિત્યસ્વામીઓના સર્જનના ઉલ્લેખો કરીને વિવેચન પણ કર્યું હતું. કૃષ્ણ-રાધા અને સુદામાની વાતના ઉદાહરણ દ્વારા પોતાને જે કહેવું હતું એ પણ કહી દીધું.
આજની બેઠકમાં, ડીસ્ટ્રીક્ટ ૨૨ ના કોંગ્રેસમેન તરીકે ઈલેક્શનમાં ઉભા રહેલા, ડેમોક્રેટીક ઉમેદવાર શ્રી. પ્રેસ્ટોન શ્રીનિવાસ કુલકર્ણી પણ પોતાની માતા સાથે ઉપસ્થિત રહ્યા હતા. કોઇ ફિલ્મી હીરો જેવા હેન્ડસમ ૩૯ વર્ષની ઉંમરના આ ઉમેદવાર અમેરિકન સરકારમાં વિવિધ ઉચ્ચ હોદ્દાઓ પર સેવા આપી ચૂક્યા છે. તેમના પિતાશ્રી લેખક હતા. એમના સંસ્મરણો વાગોળતાં પોતે એમની સાહિત્ય-પ્રવૃત્તિમાં કેવી રીતે સહાયભૂત થતા એની રસપ્રદ વાતો કરી હતી. સાથેસાથે, ભારતિયોને, અમેરિકાની રાજકિય બાબતો વિશે પરિચિત રહીને, સક્રિયપણે ભાગ લેવા વિનંતિ કરી હતી.
શ્રોતાઓએ તેમને એચ વન બી વીસા, રોહિગ્યા રેફ્યુજીઓ અંગે,યુનિવર્સલ હેલ્થકેર અંગે અને મેડીકેર અંગે પ્રશ્નો પૂછ્યા હતા, જેના સંતોષકારક જવાબો તેમણે સસ્મિત આપ્યા હતા. હાજર રહેલા બધા સભ્યો સાથે તેમણે સામૂહિક તસ્વીર પણ પડાવી હતી.
મુંબઈથી અત્રે વીઝીટર વીસા પર પધારેલ સિદ્ધિ ઝવેરી નામના એક ગુજરાતી કવયિત્રીએ પણ સિતાંશુ યશશ્ચન્દ્ર અને મુકેશ જોશી અંગે વાત કરી હતી. અને પોતે મુંબઈની એક ગુજરાતી સાહિત્ય સંસ્થા ‘સાંન્નિધ્ય’ના સભ્ય છે અને દર બે મહિને એક મીટીંગ થાય છે તેની વાતો કરી હતી. પોતે ‘સમકાલીન’ સામયિકમાં કવિતાઓ લખે છે એનો ઉલ્લેખ કરતાં, મૈત્રી અને સ્નેહ સંબંધની પરિભાષા અંગેના પોતાના બે કાવ્યો પણ રજૂકર્યા હતા.
મુંબઇના બીજા એક લેખક શ્રી. ચંદ્રકાંત સંઘવીએ પોતાના પ્રથમ પુસ્તક‘ચલા મુરારી હીરો બનને’ ના કેટલાક પરિચ્છેદો અંગે વાતો કરતાં, હ્યુસ્ટન ખાતેની પોતાની પ્રથમ મુલાકાત અને સાહિત્ય સરિતાના પરિચિત મિત્રો સાથેના સંસ્મરણો વાગોળ્યાં હતાં.
અંતમાં, સંસ્થાના પ્રમુખ શ્રી. સતીશભાઈએ પણ એક કાવ્ય પ્રસ્તુત કર્યું હતુ અને કાર્યક્રમની સમાપ્તિ વખતે પણ ફરીથી ગુલાબજાંબુ અને પાઉંભાજીનો નાસ્તો કરીને સૌ વિખરાયા હતા.
નવીન બેન્કર- ( લખ્યા તારીખ-૧ ઓગસ્ટ ૨૦૧૮ )